કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કચ્છના અખાતમાં કંડલા OTBથી ૧૪ નૉટિકલ માઈલ દૂર કોલસા ભરેલું વિશાળ જહાજ અન્ય માલવાહક જહાજ સાથે ટકરાઈને જળસમાધિ લેવા માંડતા પોર્ટ પ્રશાસન, શિપીંગ મિનિસ્ટ્રી અને કોસ્ટગાર્ડમાં ભારે દોડધામ મચી ગઈ છે. MV કેમેક્સ એમ્પેરર (Kmax Emperor) નામનું કોલસા ભરેલું જહાજ કંડલા આઉટર તુણા બૉય ((OTB)ના એન્કરેજ એરિયા તરફ આવી રહ્યું હતું ત્યારે MV True Mariner સાથે ટકરાયું હતું. ટક્કરના પગલે કોલસો ભરેલાં જહાજને ભારે નુકસાન થયું છે.
એન્જિન રૂમમાં પાણી ભરાયું
જહાજના એન્જિન રૂમ સહિતના ભાગોમાં પાણી ભરાવાનું શરૂ થતાં તે જળસમાધિ લઈ લે તેવી શક્યતાઓ સર્જાઈ છે. ઘટના અંગે જાણ થતાં કંડલા પોર્ટ પ્રશાસને તત્કાળ બે ટગને સહાયતા માટે મોકલી આપી છે. બીજી તરફ, કોસ્ટગાર્ડના બે વેસલ્સ પણ દુર્ઘટનાગ્રસ્ત જહાજ નજીક રેસ્ક્યુ માટે દોડી ગયાં છે.
૨૧ ક્રૂનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું
પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે કોસ્ટગાર્ડ દ્વારા જહાજમાં સવાર ૨૪ પૈકી ૨૧ ક્રૂને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયાં છે. હાલ આ જહાજમાં કેપ્ટન અને બે ચીફ એન્જિનિયર ઓન ડ્યુટી છે અને જહાજના માલિક તથા સાલ્વેજ ઓપરેશન અંગે જરૂરી સૂચનાઓની આપ-લે કરી રહ્યાં છે.
ભારે પ્રદૂષણની આશંકાના પગલે શિપ ઑનરને નોટિસ
સમુદ્રમાં જ્યારે બે જહાજ વચ્ચે ટક્કર થાય અને એક જહાજ પાણીમાં ધીમે ધીમે ડૂબવા માંડે ત્યારે ડૂબતાં જહાજના બચાવ (સાલ્વેજ)ના પડકાર સાથે તેમાં રહેલાં ક્રૂડ ઓઈલ, કોલ, ફર્ટિલાઈઝર, કેમિકલ વગેરે જેવા હજારો ટન કાર્ગોથી પાણી પ્રદૂષિત થવાનો ગંભીર ખતરો સર્જાતો હોય છે. આવા સમયે કોસ્ટગાર્ડ સાથે શિપીંગ મિનિસ્ટ્રી અને ડાયરેક્ટર જનરલ ઑફ શિપીંગ હેઠળનો મરિન મર્કેન્ટાઈલ ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવતો હોય છે. સમુદ્રમાં પ્રદૂષણ અટકાવવાની કામગીરી પણ કોસ્ટગાર્ડની પ્રમુખ કામગીરી છે.
મરિન મર્કેન્ટાઈલ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલાં સતિષ કામથે કચ્છખબરને જણાવ્યું કે ‘સમુદ્રમાં થનારાં સંભવિત પ્રદૂષણને અટકાવવા માટે સાલ્વેજની કામગીરી તત્કાળ અસરથી હાથ ધરવા અમે શિપના માલિકને મર્ચન્ટ શિપીંગ એક્ટ હેઠળ નોટિસ ઈસ્યૂ કરી દીધી છે. હાલ જહાજ થોડુંક નમી ગયું છે પરંતુ હવે સ્ટેબલ છે’
જહાજ પર લદાયેલો હજારો ટન કોલસો અન્ય ટગ અને શિપ મારફતે ઓનબોર્ડ અનલોડ કરવા સહિતના વિવિધ વિકલ્પો સાથે તેમાં રહેલાં જોખમો પર ઈન્સ્યોરન્સ કંપની સહિતના સંબંધિત સ્ટેકહોલ્ડર્સે તાકીદની બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે. દુર્ઘટનાગ્રસ્ત જહાજ ચેનલમાંથી એક સાઈડ કેવી રીતે ખસેડવું તે અંગે વિચારણા ચાલી રહી છે જેથી પોર્ટમાં આવ-જા કરતાં અન્ય જહાજોના નેવિગેશનમાં કોઈ અવરોધ ના સર્જાય.
Share it on
|