કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગાંધી માર્કેટમાં આજે ભરબપોરે સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું મારુતિ સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો હથિયાર બતાડીને અપહરણ કરી લઈ જતાં ચકચાર મચી ગઈ હતી. કેતનભાઈ રેલવેના કોન્ટ્રાક્ટર પણ છે. અપહરણ અંગે તુરંત જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસ તત્કાળ એક્શનમાં આવી ગઈ હતી અને ભચાઉ સામખિયાળીથી કચ્છ બહાર જતા માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરી દીધી હતી. અપહરણ સમયે કેતનભાઈએ ગાડીમાં બેસવા ભારે પ્રતિકાર કરીને રાડારાડ કરી મૂકતાં આસપાસના લોકોને જાણ થઈ ગઈ હતી.
રસ્તામાં પોલીસની નાકાબંધી જોઈને અજાણ્યા અપહરણકારોએ હાઈવે પરથી ઉતારીને ગાડીને જંગી ગામ તરફ વાળી હતી.
પહેલાંથી જ એલર્ટ પોલીસે આ ગાડીનો પીછો શરૂ કરેલો. આ વિસ્તારથી અજાણ અપહરણકારો ફાંફે ચઢેલાં અને ગાડી ગામના સીમાડે પાણીના વોકળા બાજુ જઈને ભરાઈ ગયાં હતા. ગાડીમાં પણ નુકસાન થયું હતું.
પરિસ્થિતિ પામી જઈને ત્રણે જણે કેતનભાઈને ગાડીમાં જ રાખીને પગપાળા નાસવાનું શરૂ કરેલું. પરંતુ પીછો કરતી પોલીસે એક જણને દબોચી લીધો છે.
બપોરે બેને નવ મિનિટના અરસામાં અપહરણ થયેલું અને બનાવની જાણ થતાં સ્થાનિક આગેવાન ધવલ આચાર્યે તુરંત ૨.૧૭ મિનિટે એસપી સાગર બાગમાર અને એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરીને જાણ કરી હતી. જેના પગલે પોલીસે તુરંત ભચાઉ અને સામખિયાળી પોલીસને રસ્તા પર નાકાબંધી કરવા સૂચના આપી હતી.
સામખિયાળીમાં બીજા લોકોને સુપ્રત કરવાના હતા
અપહરણનો ભોગ બનેલાં કેતનભાઈ સહીસલામત છે. તે પરત ગાંધીધામ આવી ગયાં છે. કેતનભાઈએ નિકટના લોકોએ જણાવ્યું કે અપહરણકારોએ તેમની જોડે ગાડીમાં કોઈ મારકૂટ કરી નહોતી. તેમણે અપહરણકારોને પૈસા જોઈતાં હોય તો પોતાનો ફોન પરત આપવા અને પોતે ફોનથી વ્યવસ્થા કરી દેશે તેમ જણાવેલું પરંતુ અપહરણકારોએ તેમને જણાવેલું કે અમારે તમને સામખિયાળી ખાતે બીજા લોકોને સુપ્રત કરવાના છે. અપહરણકારો હિન્દીભાષી હતા.
અપહરણને લઈ ઉઠ્યાં અનેક સવાલો
અપહરણમાં વપરાયેલી કારની નંબર પ્લેટ ખોટી છે. અપહરણ પાછળનો હેતુ ખંડણી માગવાનો જ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે. અપહરણનો પ્લાન કોણે બનાવેલો, આરોપીઓ અપહરણ પૂર્વે ક્યાં રોકાયેલાં, ગુનાને અંજામ આપતાં અગાઉ કોઈ રેકી કરેલી કે કેમ, ગાડી કોની છે, કેતનભાઈ પાસે રહેલી માલમતા લૂંટી છે કે કેમ વગેરે વિવિધ મુદ્દે પોલીસની ગહન તપાસ ચાલું છે.
Share it on
|