|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ મુંદરાના પ્રાગપરમાં આવેલી બિન ખેતી જમીનનું વેચાણ કરવાના બહાને ગાંધીધામના બિઝનેસમેન સાથે ૪.૯૩ કરોડની ઠગાઈ થઈ હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ગાંધીધામ મુંદરાના કહેવાતા અગ્રણી કિશોર પીંગળ સહિતના લોકોની સાક્ષીમાં ફ્રોડ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ગાંધીધામના સુભાષનગરમાં રહેતા ૪૬ વર્ષિય દીપક ખેંગારભાઈ મજેઠીયા ઈમ્પોર્ટ થયેલા માલના કસ્ટમ ક્લિયરન્સનું કામકાજ કરતી શિપીંગ એન્ડ લોજિસ્ટીક્સ પેઢી ધરાવે છે. તેમને બિન ખેતીની જમીનમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં રસ હોઈ ગાંધીધામના દલાલ યોગેશ ઠક્કર જોડે વાતચીત કરતા રહેતા હતા.
ડિસેમ્બર ૨૦૨૩માં દલાલ યોગેશ ઠક્કર ફરિયાદીને ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે મધુબન કોમ્પ્લેક્સમાં કિશોર પીંગળની ઑફિસે લઈ ગયેલો. યોગેશે કિશોર પીંગળ અને નીતેશભા રાજભા ગઢવી (રહે. મૂળ સુદાણા, રાપર હાલ રહે. અમદાવાદ) સાથે જમીન સોદા અંતર્ગત મુલાકાત કરાવેલી.
નીતેશે ફરિયાદીને મુંદરાના પ્રાગપરના સર્વે નંબર ૨૬૩ અને ૨૬૪ના જમીનના સોદા અંગે વાતચીત કરીને મુંબઈ રહેતા જમીનના માલિક દીપક મેઘજી ગાલા સાથે તેણે કરેલો સાટા કરારનો દસ્તાવેજ બતાડ્યો હતો.
વાતચીતના અંતે ૫ કરોડ ૩ લાખમાં જમીન ખરીદવા અંગે બેઉ પક્ષે સહમતિ સધાયેલી.
સોદો નક્કી થયાં બાદ દલાલ યોગેશ ઠક્કર અને કિશોર પીંગળની સાક્ષીએ નીતેશ ગઢવી અને ફરિયાદી વચ્ચે આ જમીનનો નવો નોટરાઈઝ્ડ સાટા કરાર બનાવાયો હતો અને ફરિયાદીએ બાના પેટે નીતેશને એક કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ, ૨૮-૧૨-૨૦૨૩થી ૩૦-૦૫-૨૦૨૪ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે ફરિયાદીએ નીતેશ અને જમીન માલિક દીપકને બેન્ક મારફતે તથા કિશોરની ઓફિસમાં ટુકડે ટુકડે સોદા મુજબ નક્કી થયેલાં ૫ કરોડ ૩ લાખ રૂપિયા ચૂકવી આપ્યાં હતા.
પૂરેપૂરી રકમ ચૂકવાયાં બાદ નીતેશ અને દીપકે દસ્તાવેજ લખી આપવાના બદલે બહાનાબાજી શરૂ કરેલી. ફરિયાદીએ રકમ પરત માંગતા આરોપીઓએ ૧૦ લાખ રૂપિયા પરત આપેલાં.
દરમિયાન, નીતેશ અને દીપકે ૦૪-૦૧-૨૦૨૫ના રોજ આ જમીન કોઈ ત્રીજી જ પાર્ટીને વેચી મારી હોવાનું બહાર આવેલું. ફરિયાદીએ સમગ્ર ઠગાઈકાંડ આચરાયો તેના સાક્ષી તરીકે યોગેશ ઠક્કર, કિશોર પીંગળ અને હિતેષ ઠક્કર હોવાનું લખાવ્યું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|