|
કચ્છખબરડૉટકોમ, બાલાસરઃ ઉનાળામાં ગામમાં પીવાનું પાણી ના આવતું હોવાની ગાંધીનગર સુધી કરેલી રજૂઆતોની અદાવત રાખીને રાપરના વ્રજવાણી ગામના સરપંચ સહિતના ૬ જણે પિતા અને બે પુત્રો પર લોખંડની કોસથી હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. વ્રજવાણીમાં રહેતા મોહન વેરાભાઈ ચાવડા (ઉ.વ. ૪૨)એ બાલાસર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ઉનાળામાં ગામમાં પીવાનું પાણી મળતું ના હોઈ તેમના ભાઈ જયંતીએ ગાંધીનગર સુધી ટેલિફોનિક રજૂઆતો કરેલી. આ બાબતે જે-તે સમયે સરપંચ ગણેશા સામતા ગારીયાએ મોહનને બે-ત્રણ વખત ફોન કરીને ગાંધીનગરમાં રજૂઆતો ના કરવા જણાવેલું અને બેઉની જે-તે સમયે ફોન પર બોલાચાલી પણ થયેલી. દરમિયાન, બુધવારે બપોરે મોહન તેના પિતાને બાઈક પર બેસાડીને ખેતરેથી ઘર તરફ જતો હતો ત્યારે ગામના સીમાડે તળાવના વોકળા વચ્ચે ઈશ્વર અખઈ ગારીયા અને માદેવા દેવરાજ ગારીયા બાઈક ધોતા હતા.
મોહને પોતાને જવા દેવા રસ્તો આપવા જણાવતાં ઈશ્વર અને માદેવા ઉશ્કેરાઈ ગયેલાં. તેમની અને મોહન વચ્ચે હાથાપાઈ થયેલી. બબાલ અંગે ઈશ્વર અને મોહને તેમના સંબંધીઓને જાણ કરેલી.
મોહન ઘર તરફ જવા રવાના થયો ત્યારે રવા અજમલ ગારીયાએ તેના ઘર પાસે રસ્તામાં ટ્રેક્ટર આડું રાખી દીધું હતું. રવા સાથે સરપંચ ગણેશા, પ્રવિણ વીરભાણ ગારીયા અને રમેશ ભારમલ ગારીયા હાથમાં લોખંડની કોસ સાથે ઊભેલાં. ચારેય જણે મોહન અને તેના પિતા પર હુમલો કરીને માર મારેલો. બબાલ સમયે ખેતરેથી ઘરે આવી રહેલા મોહનના ભાઈ જયંતીને પણ આરોપીઓએ માર માર્યો હતો. હુમલામાં મોહનને કોસ વાગતા એક આંખે ગંભીર ઈજા થઈ છે. તેના પિતાને પણ શરીરે ઈજાઓ પહોંચી છે. બેઉને રાપરની સરકારી હોસ્પિટલથી ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં ખસેડાયાં છે.
Share it on
|