|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગળપાદર પાસે BSF કેમ્પસમાં ૨૪ વર્ષિય ગુજરાતી જવાને માથામાં ગોળી મારી આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે. મરણ જનાર પંકજ લાભુભાઈ મેમતીયા (કોળી પટેલ) સુરેન્દ્રનગરના લીમડી નજીક આવેલા ચોકડી ગામનો વતની હતો. BSFની ૯૦ નંબરની બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતો. આજે સવારે પોણા નવના અરસામાં કેમ્પસમાં આવેલા વૉચ ટાવર નીચે અચાનક પોતાની પાસે રહેલી ઈન્સાસ રાયફલથી માથામાં ગોળી ધરબી દીધી હતી. સહકર્મચારી અરવિંદકુમાર પાસવાને તુર્ત જ કમાન્ડન્ટને જાણ કરેલી અને પંકજને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પંકજના મૃતદેહને ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગરની મેડિકલ કોલેજ ખાતે મોકલી અપાયો છે.
બે દિવસ અગાઉ જ રજા પરથી પરત ફરેલો
ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ પાડી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે બનાવ અંગે જાણ કરાતાં મૃતકના પરિવારજનો ગાંધીધામ દોડી આવ્યાં હતા. મૃતક પંકજ અપરિણીત હતો અને ૨૦૨૩માં BSFમાં જોડાયો હતો. હજુ બે દિવસ અગાઉ જ રજા પરથી ગાંધીધામની નોકરી પર પરત ફર્યો હતો. આપઘાતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.વી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|