|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી ગવર્નમેન્ટ રેલવે પોલીસે દેશી બનાવટની સેમિ ઑટોમેટિક પિસ્તોલ અને ૧૬ નંગ જીવતાં કારતૂસ સાથે ઉત્તર પ્રદેશના બાગપતના યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો યુવક અજયકુમાર મનોજકુમાર નૈન આર્મીમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવે છે. આજે સવારે ૧૧ કલાકે બરેલી-ભુજ આલા હઝરત ટ્રેન ગાંધીધામ રેલવે સ્ટેશને આવી ત્યારે તેમાંથી અજય નીકળ્યો હતો. પ્લેટફોર્મ નંબર એક પરથી બહાર જવાના મુખ્ય પ્રવેશદ્વાર પર પોલીસને જોઈ અજય નૈને લપાવા છૂપાવાનો પ્રયાસ કરતા પોલીસને શંકા ગયેલી.
પોલીસે તેને અટકાવીને અંગઝડતી કરતા કમરે છૂપાવેલી દેશી બનાવટની સેમિ ઑટોમેટિક પિસ્તોલ અને તેમાંથી બે મેગઝીન મળી આવ્યા હતા. પોલીસે તેની પીઠ પર રહેલી વાદળી રંગની શૉલ્ડર બેગ તપાસતાં તેમાંથી વધુ ૧૪ નંગ જીવતાં કારતૂસ મળી આવ્યાં હતા.
અજય સામે આર્મ્સ એક્ટની ધારાઓ તળે ગુનો દાખલ કરીને રેલવે પીઆઈ પી.આર. સોલંકીએ સઘન પૂછપરછ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે અજય નૈન ભારતીય સૈન્યની જાટ રેજિમેન્ટમાં અગ્નિવીર તરીકે ગલવાન ઘાટીમાં ફરજ બજાવી રહ્યો છે. થોડાંક સમય અગાઉ તે રજા પર ઉતર્યો હતો.
અજય ગાંધીધામમાં કોઈને પિસ્તોલનું વેચાણ કરવા અથવા ડિલિવરી કરવા આવ્યો હોવાની પોલીસને આશંકા છે. પોલીસ પૂછપરછમાં તે સહકાર આપતો નથી. પૂછતાછમાં તેણે હથિયાર ક્યાંથી કોની પાસેથી મેળવેલું અને તે લઈને ગાંધીધામ કેમ આવેલો? ગાંધીધામમાં લોકલ કડી કોણ છે તે સહિતની બાબતો જાણવા પોલીસે કવાયત્ આદરી છે.
Share it on
|