click here to go to advertiser's link
Visitors :  
16-May-2025, Friday
Home -> Gandhidham -> Aadipur youth assaulted robbed and kidnapped for money recovery
Friday, 02-Aug-2024 - Aadipur 64062 views
નાણાં વસૂલવા ગાંધીધામની માથાભારે ગેંગે યુવકને લૂંટી અપહરણ કરીને ગોંધી રાખ્યો
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ માથાભારે વ્યાજખોરો સામે પોલીસની કહેવાતી કડક ઝુંબેશ છતાં નાણાંની લેતી-દેતી કરતાં માથાભારે લોકોને ખાખીનો ખૌફ રહ્યો નથી. ગાંધીધામની માથાભારે ગેંગે આદિપુરના યુવક સાથે કરેલા અત્યાચારે ખાખીની આબરૂના ધજાગરા ઉડાડી દીધાં છે. અંતરજાળમાં રહેતા ૨૬ વર્ષિય રાજદિપસિંહ ખેંગુભા જાડેજાના મિત્ર રાધે જગદીશભાઈ જોશીએ ગાંધીધામના ભારતનગરમાં રહેતાં અર્જુન નાગદાન ગઢવી પાસે બાઈક ગીરવે રાખીને ૨૦ હજાર રૂપિયા મેળવેલાં. નાણાંની લેતી-દેતીમાં રાજદિપ જામીન તરીકે રહ્યો હતો.

૨૦ હજાર સામે અર્જુન સતત વધુ રૂપિયા માંગતો હોઈ રાધેના પિતાએ વધુ રૂપિયા આપવા ઈન્કાર કરી દીધો હતો.

મારકૂટ કરી ફોન, દાગીના, રોકડાં રૂપિયા લૂંટી લેવાયા

નાણાં વસૂલ કરવા માટે અર્જુને બુધવારે રાત્રે સાડા બાર વાગ્યે કુલદિપસિંહ જેમલસિંહ સોઢા નામના સાગરીતને રાજદિપના ઘરે મોકલ્યો હતો. ‘અર્જુનને મળીને મેટર પતાવી દઈએ’ તેવું કહીને કુલદિપ રાજદિપને પોતાની એક્સેસ મોપેડ પર બેસાડીને અંતરજાળ નજીક ગૌશાળા પાસે આવેલા મહાદેવ મંદિર પાસે લઈ ગયેલો. અહીં પહોંચીને કુલદિપે અર્જુનને ફોન કરી જાણ કરતાં થોડીકવારમાં અર્જુન તેના ભાઈ વિજય અને દિનેશ ઊર્ફે ઢીંકા પરિહર સાથે પલ્સર બાઈક પર ટ્રીપલ સવારી ત્યાં આવ્યો હતો.

‘રાધે પૈસા ના આપે તો એ તારે જ આપવા પડશે’ કહીને ચારે જણે ભેગાં મળીને રાજદિપને મુક્કા લાતો તથા કમરપટ્ટાથી ઢોર માર માર્યો હતો.

મારકૂટ સમયે આરોપીઓએ રાજદિપે ગળામાં પહેરેલી દોઢ લાખની કિંમતની સાડા ત્રણ તોલા સોનાની ચેઈન, કાંડે પહેરેલું ૭૫ હજારનું દોઢ તોલા સોનાનું કડું (બ્રેસલેટ), ખિસ્સામાં રહેલાં ૮૦૦ રૂપિયા રોકડાં અને ૨૦ હજારના મૂલ્યનો મોબાઈલ ફોન મળી ૨.૫૩ લાખની માલમતા લૂંટી લીધી હતી.

અપહરણ કરી આખી રાત ગોંધી રાખીને મારકૂટ

ફરિયાદીને મારકૂટ કરીને અઢી લાખની માલમતા લૂંટ્યાં બાદ પણ આરોપીઓને સંતોષ થયો નહોતો. તેઓ તેને બળજબરીથી એક્સેસ પર બેસાડીને ભારતનગરમાં અર્જુન ગઢવીના ઘરની પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં લઈ ગયાં હતાં. ફરિયાદીને કોમ્પ્લેક્સની ગેલેરીમાં આખી રાત ગોંધી રાખી મારકૂટ કરેલી. અર્જુને તેના અન્ય બે સાગરીત હર્ષદ ગઢવી (રહે. આદિપુર) અને ચિરાગ ગંભીરસિંહ રાજપૂત (રહે. ભારતનગર, ગાંધીધામ)ને ફોન કરી બોલાવેલાં અને આ બેઉ જણે પણ ફરિયાદીને માર માર્યો હતો.

૧ કલાક માટે છોડીને બે લાખ લઈ આવવા કહ્યું

પોતાને ઘરે જવા દઈ પૈસાની વ્યવસ્થા કરવા દેવાની ફરિયાદી સતત વિનંતી કરતો હોઈ આખરે સવારે સાડા દસ વાગ્યે આરોપીઓએ તેને પૈસાની વ્યવસ્થા કરવા માટે એક કલાક પૂરતો ઘરે જવાની મંજૂરી આપીને ધમકી આપી હતી કે ‘બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરજે, નહીં આવે તો બીજી વખત આનાથી પણ ખરાબ હાલત કરશું. તને ખબર જ છે કે અમારા ઉપર કેટલાં કેસો થયેલાં છે, અમારું કોઈ કશું બગાડી શક્યું નથી. પોલીસ કે કોઈને જાણ કરતો નહીં નહિંતર તને પતાવી દઈશું’ ઘરે આવ્યાં બાદ ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરેલી અને પરત ગયો નહોતો. ઘરે આરામ કર્યાં બાદ ગુરુવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવવા આદિપુર પોલીસ મથકે ગયો હતો. પોલીસે ૬ આરોપીઓ વિરુધ્ધ અપહરણ, મારકૂટ, લૂંટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.

Share it on
   

Recent News  
સોનાના નામે ૨૮.૭૫ લાખની ઠગાઈઃ ભુજના રીઢા શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
ગુજસીટોક તળે અંજારની વ્યાજખોર બહેનોના ૩૯ લાખના વધુ ૩ મકાન પોલીસે જપ્ત કર્યાં
 
સમૂહલગ્નમાં સ્ટેજ ઉપર મહંત પર હુમલોઃ હિંદુ સમાજની ભુજમાં વિશાળ વિરોધ રેલી