|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના લોડાઈ ગામે પાણીપૂરી આરોગ્યા બાદ ગામમાં ૩૬ જણને પેટમાં દુઃખાવાથી લઈ ઝાડા ઊલટી થઈ જતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગઈકાલ મોડી સાંજથી જ ઝાડા ઊલટીને લગતી ફરિયાદો સાથે અસરગ્રસ્તો વિવિધ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં ઉમટવા માંડતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું. ૨૨૫ ઘરનો ડૉર ટૂ ડૉર સર્વે હાથ ધરાયો
જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મીતેશ ભંડેરીએ જણાવ્યું કે ફૂડ પોઈઝનીંગ થઈ ગયું હોવાના વ્યાપક કેસ આવવા માંડતા આજે સવારથી આરોગ્ય તંત્રની જુદી જુદી ટીમે ગામમાં સર્વે હાથ ધર્યો હતો. અમે ગામમાં એક હજારની વસતિને આવરી લેતાં કુલ ૨૨૫ ઘરનો ડૉર ટૂ ડૉર સર્વે કરી ચૂક્યાં છે.
૩૬ જણને અસર થઈ હોવાનું ધ્યાને આવ્યું છે. ૩૬ અસરગ્રસ્તોમાંથી ૨૦ પુરુષ છે અને ૧૬ મહિલા છે.
જે પૈકી નવ જણ તબિયત થોડી વધુ બગડેલી હોઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જી.કે. જનરલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલાં છે.
પાણીપૂરી ખાનારાઓ ખાટલે પડ્યાં
સર્વે દરમિયાન લોકોએ ગઈકાલે સાંજે પાણીપૂરી ખાધાં બાદ તબિયત બગડી હોવાનું જણાવ્યું છે. જો કે, પાણીપૂરીવાળો ગામમાંથી નાસી ગયો છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. આરોગ્ય વિભાગે પાણીના સોર્સની પણ તપાસ કરી છે. આરોગ્ય વિભાગના દાવા સામે બિનસત્તાવાર રીતે પચાસથી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Share it on
|