કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના પ્રવાસીઓની તાતી જરૂરિયાત અને વર્ષોજૂની માંગણીને ધ્યાને લઈને પશ્ચિમ રેલવેએ આગામી ૨૧ માર્ચ શુક્રવારથી ભુજ રાજકોટ ભુજ વચ્ચે દૈનિક ધોરણે સ્પેશિયલ ટ્રેઈન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ના બેઝ પર શરૂ થનારી આ સ્પે. ટ્રેનનું ભાડું પણ સ્પેશિયલ હશે. ટ્રેન સેવાના સમયપત્રક અંગે પશ્ચિમ રેલવેએ જારી કરેલી વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે આ ટ્રેન દરરોજ સવારે ૬.૫૦ કલાકે ઉપડીને ૧.૩૫ કલાકે રાજકોટ પહોંચશે. વળતી ટ્રીપમાં ટ્રેન રાજકોટથી બપોરે અઢી વાગ્યે ઉપડીને રાત્રે ૯.૪૦ કલાકે ભુજ પહોંચશે. ૨૭૩ કિલોમીટરનો પ્રવાસ ૭ કલાકમાં ખેડશે. ટ્રેન બંને તરફથી આવ-જા કરતી વેળા ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીંસરા, મોરબી ખાતે સ્ટોપ કરશે.
અંજાર અને આદિપુરની બાદબાકી કરી દેવાઈ છે. કુલ ૩ માસ અને ૯ દિવસ પૂરતી આ વિશેષ ટ્રેન દોડશે.
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને ભવિષ્યમાં આ ટ્રેન સેવા વિસ્તારવા અંગે નિર્ણય લેવાશે. વિશેષ ટ્રેન શરૂ થવાની જાહેરાતને વધાવી લઈને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રવાસીઓની લાંબા સમયની પડતર માંગણીને સંતોષવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિનીકુમારનો આભાર માન્યો છે.
Share it on
|