કચ્છખબરડૉટકોમ, ભુજઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની ભયંકર ગોઝારી ઘટના વચ્ચે કચ્છમાં બે અલગ અલગ સ્થળે યુવાન અને યુવતીની હત્યાના બનાવો બહાર આવતાં પોલીસ ખાતામાં દોડધામ મચેલી રહી છે. માંડવીના જખણિયામાં ભુજના ૩૬ વર્ષિય રાજગોર યુવકની છરી ઝીંકી બે શખ્સોએ ઘાતકી હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. બીજી તરફ, લખપતના પીપર ગામના યુવકે એકતરફી પ્રેમમાં અંધ બનીને કૌટુંબિક બહેનને ગળેટૂંપો આપી મારી નાખી છે. એકતરફી પ્રેમમાં અંધ કૌટુંબિક ભાઈએ યુવતીની કરી હત્યા
લખપતના પીપર ગામની વતની અને નજીકના હોથિયાઈ ગામના સીમાડે પરિવાર સાથે રહી મજૂરીકામ કરતી ૨૦ વર્ષની સલમા જત નામની યુવતીની તેના કાકાના પુત્ર ઈબ્રાહિમ ગુલામ જતે ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે.
આજે બપોરે બે વાગ્યા બાદ હત્યાનો બનાવ બહાર આવ્યો હતો. મૃતકના દેહને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈબ્રાહિમ સલમાને એકતરફી પ્રેમ કરતો હતો. પરંતુ, સલમાની બીજે સગાઈ થતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે તેની હત્યા કરી નાખી હતી. વાયોર પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડાંગરે બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જખણિયાની જુગાર ક્લબમાં ભુજના યુવકની હત્યા?
માંડવીના જખણિયા ગામે આજે સાંજે સાડા પાંચના અરસામાં ભુજની આરટીઓ રિલોકેશન સાઈટ ખાતે રહેતા ૩૬ વર્ષિય ચિંતન કિશોરભાઈ ગોર નામના યુવકની છરી ઝીંકી બે શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. ચિંતનને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલા પ્રિયેન મહેશચંદ્ર રાજગોર (રહે. આરટીઓ, ભુજ)એ પોલીસ ચોકીમાં જણાવ્યું કે મરણ જનાર ચિંતન તેનો માસિયાઈ ભાઈ થાય છે.
આજે સાંજે જૂની કૌટુંબિક અદાવતમાં કૌટુંબિક ભાઈઓ એવા જીગર દીપક રાજગોર અને જીગરના સાળા જય દીપક ગોર સાથે ચિંતનનો ઝઘડો થયેલો. જેમાં તેમણે છરી વડે હુમલો કરતાં તેનું મૃત્યુ નીપજ્યું છે.
જો કે, બિનસત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસના આશીર્વાદ સાથે જખણિયામાં ચાલતી જુગાર ક્લબમાં નાણાંની લેતી-દેતીના મામલે આ બનાવ બન્યો છે.
ચિંતનને હોસ્પિટલમાં લઈ આવનાર પ્રિયેન ઊર્ફે પિલ્લો અગાઉ ૦૮-૦૯-૨૦૨૪ની મધરાત્રે ભુજના માલાણી ફળિયામાં ધાણી પાસાની જુગાર ક્લબનું સંચાલન કરતા ઝડપાયો હતો.
ભુજ એ ડિવિઝન પોલીસે ૧૨ ખેલી સાથે ૭૩ હજાર રોકડા રૂપિયા, ૭ દ્વિચક્રી વાહનો, મોબાઈલ ફોનો મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા સમયે ૬ ખેલી નાસી ગયાં હતાં. ઝડપાયેલાં અને નાસી ગયેલાં મોટાભાગના ખેલીઓ ભુજના રાજગોર યુવકો હોવાનું તે સમયે પોલીસે જણાવ્યું હતું.
Share it on
|