|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ ભાજપના બે આગેવાનોના પુત્રો સામે હવે શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેન્દ્ર અશ્વિનભાઈ ઠક્કરે ૧૬ લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કલ્પેશ મુળજીભાઈ ઠક્કર અને દર્શન બળવંતભાઈ ઠક્કર સામે ગુનો નોંધ્યો છે. શહેરના સેક્ટર આઠમાં માધવ પેલેસમાં સીએની ફર્મ ચલાવતા હિતેન્દ્ર ઠક્કરે પોલીસને જણાવ્યું કે ૨૦૧૬માં બેઉ જણ તેની કચેરીએ આવેલાં. બેઉ જણે ભાગીદારીમાં સોમનાથ ફાઈનાન્સ નામની પેઢી શરૂ કરવા માટે જરૂરી રજિસ્ટ્રેશન વગેરેની કામગીરી કરી આપવા તથા પેઢીના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની કામગીરી ફરિયાદીને આપી હતી. બાદમાં બેઉ જણ સાથે ફરિયાદીને મિત્રતા થયેલી.
એપ્રિલ ૨૦૨૪માં બેઉ જણે ફરિયાદી પાસે મિત્રતાના નાતે ધંધા માટે ઉછીના ૨૦ લાખ રૂપિયા માગ્યા હતા અને ટૂંક સમયમાં પરત કરી દેવાનું વચન આપેલું.
બેઉ પર ભરોસો કરીને ફરિયાદીએ ટુકડે ટુકડે તેમને ૧૬ લાખ આપ્યાં હતા. નાણાં મળ્યાં બાદ બેઉ જણે સતત વાયદાબાજી શરૂ કરેલી.
છેવટે ઑફિસે આવીને ફરિયાદી જોડે ધાક ધમકી શરૂ કરેલી કે ‘હવે જો નાણાં માગ્યા તો તને ખોટાં કેસોમાં ફસાવી દઈશું અને પતાવી દઈશું’
ફરિયાદીનો ઑફિસ સ્ટાફ સમગ્ર ઘટનાક્રમનો સાક્ષી છે. આરોપીઓ જોડે થયેલી ટેલિફોનિક વાતચીતના રેકોર્ડીંગનો પુરાવો પણ રજૂ કરાયો છે.
બેઉ જણ ભાજપ શહેર મંત્રીના આપઘાત કેસના આરોપી
દર્શન ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ બળવંત ઠક્કરનો પુત્ર છે જ્યારે કલ્પેશ ભાજપના આગેવાન મુળજીભાઈ ઠક્કરનો પુત્ર છે. ઉલ્લેખનીય છે કે ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ઠક્કરે ધંધામાં નુકસાનીના પગલે વ્યાજે નાણાં લઈ વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રાસીને આત્મહત્યા કરેલી તે કેસના ૧૮ આરોપીઓમાં પણ આ બેલડી સામે ગુનો નોંધાયો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ અગાઉ દર્શન ઠક્કરની અમદાવાદના બાવળા પાસેથી ધરપકડ કરી હતી.
Share it on
|