કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS પ્રદીપ નિરંકરનાથ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડ અંગે ભુજ સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. ભુજ શહેરના મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ પૂર્વ કલેક્ટર, તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અને ભુજના સંજય છોટાલાલ શાહ (Cube Construction) નામના બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી છે. સરકારી અધિકારીઓએ સંજય શાહ પાસેથી અનુચિત લાભ લેવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને, રાજ્યસેવક તરીકેના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન લાગુ તરીકે ગણીને વેચી દઈ સરકાર સાથે વિશ્વાસઘાત કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાના આરોપ સબબ ઈપીકો કલમ ૪૦૯, ૨૧૭, ૧૨૦-બી, ૧૧૪ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ (સી) હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મામલતદારે નોંધાવેલી ફરિયાદમાં આરોપ કરાયો છે કે પ્રદીપ શર્મા મે ૨૦૦૩થી જૂન ૨૦૦૬ દરમિયાન કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ સંભાળતા હતા. ૧૪-૦૮-૨૦૦૩ના રોજ ભુજના સંજય છોટાલાલ શાહે રેવન્યૂ સર્વે નંબર ૭૦૯ પૈકીની ૫ એકર ૩૮ ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી. આ ખેતરના માલિક વાસુદેવ રામદાસ ઠક્કર અને કુંજલતાબેન મધુકર ઠક્કર હતા અને તેમના પાવરદાર રાજેશ પ્રેમજી ઠક્કર પાસેથી સંજયે જમીન ખરીદેલી. આ જમીનને અડીને ભુજના સરકારી ખરાબા (ટ્રાવર્સ નંબર ૮૭૦)ની ૧.૩૮ એકર જમીન આવેલી હતી.
સંજયે ખાનગી માલિકીની ખરીદેલી ખેતીની જમીનની નોંધ ૩૦-૧૦-૨૦૦૩ના રોજ પ્રમાણિત થયાનાં પાંચ દિવસ બાદ સરકારી ખરાબાની ૧.૩૮ એકર જમીનની ‘લાગુની જમીન’ તરીકે લેખીત માંગણી કરી હતી.
સંજય શાહની માંગણી અનુસંધાને મામલતદારે હકારાત્મક દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેક્ટરને મોકલેલી. નાયબ કલેક્ટરે ભુજ વિસ્તાર વિકાસ મંડળના અભિપ્રાય સાથે હકારાત્મક દરખાસ્ત ૦૧-૦૧-૨૦૦૪ના રોજ કલેક્ટરને મોકલી આપેલી.
દરખાસ્તમાં પ્લાનીંગ આસિસ્ટન્ટે સરકારી ખરાબાની જમીનના પ્રતિ ચોરસ મીટરે ૯૫ રૂપિયાના અંદાજેલા ભાવને નગરનિયોજકે નજરઅંદાજ કરી પ્રતિ ચોરસ મીટરે ૮૬ રૂપિયા અંદાજેલા તે આકારણી પત્રક પણ સામેલ હતું.
૦૯-૦૪-૨૦૦૪ના રોજ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં શર્માએ સંજય શાહને સરકારી જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરી આપતો હુકમ કર્યો હતો. સમિતિના સદસ્ય તરીકે નિવાસી નાયબ કલેક્ટર અને નગર નિયોજક પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
કલેક્ટરે મંજૂર કરેલી જમીનની નોંધ ૦૪-૧૦-૨૦૦૪ના રોજ પ્રમાણિત થયાના ૧ માસ અને ૫ દિવસ બાદ સંજય શાહે તમામ ૭.૩૬ એકર જમીન રહેણાંક હેતુ બિનખેતીમાં ફેરવવા મંજૂરી માંગી હતી.
જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં સંજય શાહને સરકારી ખરાબાની જમીન લાગુની જમીન ચાર શરતો સાથે ફાળવાઈ હતી. શાહે બિનખેતીની મંજૂરી માંગતા આ શરતો પૈકી શરત નં. ૧નો ભંગ થતો હોવા છતાં શર્માએ શરતભંગ બદલ જમીનને સરકાર પરત દાખલ કરવાના બદલે ૭.૦૭ એકર (૯૦૫૭-૧૧ ચોરસ મીટર) જમીન સંજય શાહ પાસે ૬.૭૮ લાખ રૂપિયા ભરાવી બિનખેતી કરવાનો ૧૪-૦૩-૨૦૦૫ના રોજ હુકમ કર્યો હતો. હાલ આ જમીનની બજાર કિંમત ૧૯ કરોડ રૂપિયા થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ રીતે જમીન ફાળવણીમાં કરાયો નિયમભંગ
સંજય શાહને સરકારી ખરાબાની જમીન મંજૂર કરતી વખતે શર્મા અને નાયબ કલેક્ટરે ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ૧૯૯૭ના ઠરાવ મુજબ ૩ શરતને નજરઅંદાજ કરી હોવાનો ફરિયાદમાં આરોપ કરાયો છે.
♦ઠરાવની શરત નંબર ૨ મુજબ જો બે એકરથી ઓછી, ટૂકડા પ્રકારની સરકારી ખરાબાની જમીન હોય તો તેનો પડતર જમીન તરીકે નિકાલ કરવાનો રહે છે. શરત નંબર ૬ મુજબ જો નેશનલ હાઈવેથી ૨ કિલોમીટર, સ્ટેટ હાઈવેથી ૧ કિલોમીટર અને જિલ્લા માર્ગથી અડધો કિલોમીટરના અંતરમાં આવી જમીન આવેલી હોય તો તે ફાળવી શકાય નહીં.
♦શરત નંબર ૭ મુજબ શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ, જીઆઈડીસી, ઔદ્યોગિક ઝોન યા જિલ્લાના મુખ્ય વિસ્તારમાં આવી ખરાબાની જમીન હોય અને ભવિષ્યમાં તેને બિનખેતીમાં રૂપાંતરિત કરવાની શક્યતા જણાતી હોય યા ઉદ્યોગ માટે અનુકૂળ હોય તો તેવી જમીન ફાળવી ના શકાય.
♦સરકારી ખરાબાને લાગુની જમીન તરીકે ફાળવતી વખતે આસપાસના એકથી દોઢ કિલોમીટર ત્રિજ્યાની સરખામણીના પાંચ વર્ષના જમીન વેચાણોના ભાવનું મૂલ્યાંકન કરવાનું રહે છે. એટલું જ નહીં, જમીનને અડીને નેશનલ કે સ્ટેટ હાઈવે યા શહેરનો મુખ્ય માર્ગ હોય તો ૨૫થી ૩૦ ટકા વધુ ભાવ ઠરાવવાની પણ જોગવાઈ છે.
શર્માએ સરકારી જમીનના કસ્ટોડિયન તરીકે નિયમ મુજબ ફરજ બજાવવાના બદલે અનુચિત લાભ લેવાના હેતુથી પોતાની સત્તા ના હોવા છતાં અપ્રામાણિકપણે વર્તી જમીન ફાળવી હોવાનો આરોપ કરાયો છે.
આરોપી ત્રણ કે બે? નિવાસી નાયબ કલેક્ટર કોણ?
સીઆઈડી ક્રાઈમ જેવી ઉચ્ચ તપાસ એજન્સીએ શર્મા સામે દાખલ કરેલી ફરિયાદમાં ભાંગરો વાટ્યો છે. ઓનલાઈન ફરિયાદની કોપીમાં આરોપી નંબર એક તરીકે કલેક્ટર પ્રદીપ શર્મા અને આરોપી નંબર બે તરીકે તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટરનો હોદ્દો દર્શાવાયો છે પરંતુ તે અધિકારી કોણ હતા તેનું (શર્માની જેમ) નામ જાહેર કર્યું નથી! ફરિયાદમાં ફક્ત બે જ આરોપી દર્શાવાયાં છે પરંતુ ફરિયાદની વિસ્તૃત વિગતોમાં સંજય શાહને પણ આરોપી ગણાવાયો છે! સ્ટેટ લેવલની એજન્સીના જવાબદાર અધિકારીઓ એફઆઈઆરની મહત્વની વિગતોમાં આવા છબરડા વાળે તે આઘાતજનક છે. આ મામલે કચ્છખબરે વારંવાર DySP વસંત નાયી અને પીઆઈ અંકુર સુથારનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ એકેય જણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી.
શર્મા સામે જમીન કૌભાંડના વિવિધ ગુના
શર્મા સામે છ માસ અગાઉ ગાંધીધામના ચુડવા ગામની રોડટચ જમીન પરનું કથિત દબાણ નિયમભંગ કરી નિયમિત કરી આપ્યું હોવાની સીઆઈડીમાં ફરિયાદ નોંધાઈ હતી. કચ્છમાં ફરજ દરમિયાન શર્માએ ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં જથ્થાબંધ બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ દાખલ થયેલી. ત્યારબાદ અંજાર નજીક વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિન ખેતી કરી આપવાનો કેસ દાખલ થયેલો. આ કેસમાં શર્માએ નાણાંની વિદેશમાં હેરફેર કરી હોવાના આધાર પર પાછળથી ઈડીએ મની લોન્ડરિંગનો અલગ ગુનો દાખલ કરેલો. એ જ રીતે, મુંદરાની જિન્દાલ કંપનીને નિયમોનું ઉલ્લંઘન કરી જમીન ફાળવવાનો વધુ એક ગુનો દાખલ થયેલો. તો, ભુજની જેલમાં ગેરકાયદે રીતે મોબાઈલ ફોન વાપરવા સબબ પણ ગુના દાખલ થયેલાં છે. રાજકોટ કલેક્ટર તરીકેના કાર્યકાળમાં મોરબીના જમીન કૌભાંડ સબબ પણ શર્મા સામે કાર્યવાહી થયેલી છે.
Share it on
|