click here to go to advertiser's link
Visitors :  
30-May-2025, Friday
Home -> Bhuj -> State Election Commission announces Gram Panchayat poll on 22nd June
Wednesday, 28-May-2025 - Bhuj 5138 views
કચ્છની ૪૦૭ પંચાયતોમાં ૨૨ જૂને ચૂંટણીઃ અનેક ગામોમાં વહીવટદાર રાજનો આવશે અંત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ આખરે અંદાજે ત્રણ વર્ષના ગાળા બાદ ગુજરાતમાં ૮૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે રાજ્ય ચૂંટણી પંચે મૂરત કાઢ્યું છે. આગામી ૨૨ જૂનનાં રોજ આ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. કચ્છમાં કુલ ૪૦૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જિલ્લાની ૧૬૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર અને ૨૪૧ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. આગામી બીજી જૂનના રોજ જાહેરનામુ પ્રસિધ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ નવમી જૂન અને પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૧ જૂન રહેશે.

૨૨ જૂને મતદાન યોજાશે અને ૨૫ જૂને મતગણતરી યોજાશે.

બેલેટ પેપરથી યોજાશે ચૂંટણી

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય. આ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે અને તેમાં નોટાનો વિકલ્પ નહીં હોય તેમ ચૂંટણી આયોગે જણાવ્યું છે.

આજથી જ આદર્શ આચાર સંહિતા લાગુ

આજે જાહેરાત થતાંની સાથે જ જ્યાં ચૂંટણી યોજાવાની છે તે વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલી થઈ ગઈ છે. ચૂંટણી હેઠળના જિલ્લાઓમાં રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ, કચેરીઓના વડાઓ, કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં અને તાકીદના તબીબી કારણોસર સિવાય તેમને રજા મંજૂર કરી થશે નહીં. એ જ રીતે, સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં કે તેવા વચનો આપી શકાશે નહીં. કોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ કે તેના વચનની જાહેરાત કરી શકાશે નહીં. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી કરી શકાશે નહીં.

ગામડાઓમાં વહીવટદાર રાજનો આવશે અંત

દેશને પંચાયતી રાજની સંકલ્પના આપનાર ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાર હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ઠેબે ચઢી હતી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બદલે સરકાર વહીવટદારોથી શાસન ચલાવતી હતી.

ગુજરાત પંચાયત એક્ટમાં જોગવાઈ છે કે કોઈપણ પંચાયતમાં સરપંચ કે સભ્યની ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણી એક વર્ષ પૂરું થાય તે પહેલાં કરાવવી રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય જવાબદારી છે.

જો કે, ગુજરાતમાં લાંબા સમયથી ચૂંટણી પંચ કોઈ કારણ વગર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ કરાવતું નહોતું. ગ્રામ પંચાયતો અધિકારી રાજ હેઠળ પીસાતી હતી. વહીવટદારો સરકારના ઈશારે મનફાવે તેમ વર્તતા હતા અને ભ્રષ્ટાચાર આચરતાં હતા તેમ તાજેતરમાં કોંગ્રેસે આરોપ કર્યો હતો.

ફોર્મ ભરતી વેળા આ ધ્યાન રાખજોઃ વી.કે. હુંબલ

પંચાયતોની લાંબા સમયથી અટકેલી ચૂંટણીઓ યોજાવાની જાહેરાતને આવકારતા કચ્છ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વી.કે. હુંબલે ઉમેદવારી પત્ર ભરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું છે. 

(૧) ચૂંટણી પંચના નિયમોની જોગવાઈ મુજબ પંચાયતના સરપંચ કે સભ્યોએ ઉમેદવારી કરતી વખતે કોઈ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવાની જરૂર નથી. માત્ર સાદા કાગળ પર એકરારનામું રજૂ કરવાનું છે. તંત્રના અધિકારીઓને પણ સોગંદનામાનો આગ્રહ ના રાખવા તેમણે રજૂઆત કરી છે

(૨) મિલકત, ગુના અને સંતાન સંબંધી માહિતી અંગે સાદા કાગળ પર ઉમેદવારી ફોર્મમાં માત્ર એકરારનામું કરવાનું રહેશે

(૩) સરકારી લેણાં બાકી ત્યારે જ ગણાય કે જ્યારે લેણાં ભરવાની મુદ્દત વીતી ગઈ હોય અને જેમને નિયમ મુજબ લેણાં ભરવાની નોટીસો બજવેલ હોય તથા લેણાં ભરવામાં ચૂક કરે તો જ ડિફોલ્ટર ગણાય. રેગ્યુલર લેણાં બાકી હોય તે બાકીદાર ગણાય નહીં તે જાણકારી રાખવી

(૪) ગુનાસંબંધી કોઈપણ ફરિયાદ થયેલી હોય અને એવા ગુનામાં બે વર્ષ કે તેથી વધુ સજા થયેલી હોય તો જ તે ચૂંટણીમાં ગેરલાયક ગણાય. બાકી કોઈપણ ગુના નોંધાયેલા હોય અને નિકાલ બાકી હોય તેની વિગત દર્શાવવી જરૂરી છે. જેથી ગેરલાયક ગણાશે નહીં

(૫) સરપંચ કે સભ્ય ઉમેદવારી કરવા માંગતા હોય તો ઉમર ૨૧ વર્ષ પૂરી હોવી જોઈએ. જૂન ૨૦૦૬ પછી ત્રીજા બાળકનો જન્મ થયેલો હોય તો તે ઉમેદવાર ગેરલાયક ગણાશે. તેથી અગાઉ વધુ બાળકો જન્મેલાં હોય તો ઉમેદવારી કરી શકાશે. વાદ વિવાદ વગર, સૌ સાથે મળીને લોકશાહીનું પર્વ ઉજવી પાંચ વર્ષ માટે સારાં અને સક્ષમ પ્રતિનિધિ ચૂંટવા હુંબલે લોકોને અપીલ કરી છે.

Share it on
   

Recent News  
ભારત પાક. વચ્ચે તણાવ સહિતના કારણે જાસૂસીમાં પકડાયેલા BSF જવાનને જામીનનો ઈન્કાર
 
ભુજ કૉર્ટે ૩ પાકિસ્તાનીને બે વર્ષની સખ્ત કેદ ફટકારીઃ સપ્તાહ પછી સજા પૂરી થઈ જશે!
 
‘એક્ટિવા ઝડપથી પસાર કરી દો’ કહેવા બદલ ગળપાદરમાં ત્રિપુટીએ રેલવે ગેટમેનને માર્યો