|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણા તાલુકાના વિવિધ ૬ ગામના આંગણવાડી કેન્દ્રોના આજે કરાયેલાં લોકાર્પણના કાર્યક્રમની ઈ આમંત્રણ પત્રિકામાંથી અપેક્ષિત જનપ્રતિનિધિઓના નામની જ બાદબાકી કરી દેવાતાં કોંગ્રેસ ભડકી છે. નખત્રાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા પંચાયતની નિરોણા બેઠકના સભ્ય રાજેશ મમુભાઈ આયરે આરોપ કર્યો છે ICDSના ઈન્ચાર્જ પ્રોગ્રામ ઑફિસર રેખાબેન ચૌધરીએ ધારાસભ્યને સારું લગાડવા પ્રોટોકોલને નેવે મૂકીને મનમાની કરી છે. રાજેશભાઈએ આરોપ કર્યો છે કે પ્રોટોકોલ મુજબ આમંત્રણ પત્રિકામાં કચ્છના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય અને સંબંધિત ગામોના સરપંચોના નામ લખવા જરૂરી છે.
પત્રિકામાં અબડાસાના ધારાસભ્ય, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને અતિથિ વિશેષ તરીકે મદદનીશ કલેક્ટર એમ કેવળ ત્રણ જણનાં જ નામ લખેલાં છે, બાકીના લોકોના નામ ઉડાવી દેવાયાં છે.
આયરે આરોપ કર્યો કે પ્રોટોકોલ મુજબ સંબંધિત અપેક્ષિતોને કાર્યક્રમના આયોજન અંગે અઠવાડિયા અગાઉ અથવા કમસે કમ ચાર દિવસ અગાઉ આગોતરી જાણ કરવી અનિવાર્ય છે. પરંતુ ઈન્ચાર્જ પ્રોગ્રામ ઑફિસરે સંબંધિતોને ૨૪ કલાક અગાઉ ટેલિફોનથી જાણ કરેલી.
પ્રોગ્રામ ઑફિસરે અબડાસા ધારાસભ્યને સારું લગાડવા ઈ નિમંત્રણ કાર્ડમાંથી કચ્છના સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખની બાદબાકી કરી દીધી હોવાનો સૂચક કટાક્ષ કર્યો છે. પ્રોગ્રામ ઑફિસર નિયમોના પાઠ ભણાવે છે પરંતુ ખુદ નિયમો વિરુધ્ધ ચાલે છે તેમ જણાવી આયરે તેમને સરકારી નોકરી છોડી દઈને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લેવા સૂચન કર્યું છે.
કચ્છમાં આંગણવાડીઓની દશા અને તેના ભાડાં સહિતના થતાં ખર્ચા સહિતના મુદ્દે પણ સવાલો કરાયાં છે. આરોપો અંગે કચ્છખબરે ઈન્ચાર્જ પ્રોગ્રામ ઑફિસરનો પ્રતિભાવ જાણવા ટેલિફોન પર વારંવાર સંપર્ક કર્યો, મેસેજ પાઠવ્યો પરંતુ તેમનો પ્રતિભાવ સાંપડી શક્યો નથી.
Share it on
|