કચ્છખબરડૉટકોમ, ભુજઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હોવાનું જણાવી પાક.ની જનતાને તેમની સરકાર અને સેના દ્વારા પોષવામાં આવી રહેલા આતંકવાદ સામે આગળ આવવા સંદેશ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ગુજરાત આવેલા પીએમ મોદીએ આજે કચ્છની ધરા પરથી ભારતની સૈનાએ પાકિસ્તાનને આપેલાં જડબાતોડ જવાબનું વર્ણન કરતાં કહ્યું હતું કે ભારતના મક્કમ વળતાં પ્રહારના લીધે જ પાક. શરણાગતિ સ્વીકારવા લાચાર બન્યું. ભારતનીય સેનાએ દુનિયાને તેની તાકાત દેખાડી દીધી
પીએમ મોદીએ જણાવ્યું કે જે પણ ભારતીયોનું ખૂન વહેવડાવવાની કોશીશ કરશે તેને તેની જ ભાષામાં જવાબ અપાશે. ઓપરેશન સિંદુરને માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન ગણાવતાં મોદીએ કહ્યું કે પહલગામના હુમલાની ૨૨ મે પછી મેં બિહારની જનસભામાં છાતી ફૂલાવીને જાહેરાત કરેલી કે હું આતંકવાદના ઠેકાણાઓને માટીમાં ભેળવી દઈશ.
અમે ૧૫ દિવસ સુધી રાહ જોઈ કે પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ પગલું ભરશે પરંતુ કદાચ આતંકવાદ જ તેમની રોજીરોટી છે. જ્યારે તેમણે કંઈ ના કર્યું તો મેં દેશના સૈન્યને ખૂલ્લી છૂટ આપી દીધી.
ભારતના કારગીલ ઉપર આતંકવાદીઓના હેડ ક્વાર્ટર હતા. સેંકડો કિલોમીટર દૂર જઈને, આસપાસમાં કોઈને નુકસાન કર્યા વગર સીધો પ્રહાર કર્યો, સચોટ વાર કર્યા. આ દર્શાવે છે કે આપણું સૈન્ય કેટલું સક્ષમ અને કેટલું અનુશાસિત છે. આપણે દનિયાને દેખાડ્યું કે અમે આતંકવાદના અડ્ડાઓને અહીં જ બેઠાં બેઠાં માટીમાં ભેળવી દઈ શકીએ છીએ.
ભારતનું રૌદ્રરુપ જોઈ પાક. શરણાગતિ માટે લાચાર બન્યું
આપણે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કરેલા પરંતુ પાકિસ્તાને આપણા નિર્દોષ નાગરિકો પર હુમલા કરવાની કોશીશ કરેલી. તેમના ડ્રોન આંખના પલકારાની જેમ એક પછી એક તૂટવા માંડયા. ભારતે પણ તેમની સેના પર બેગણી તાકાતથી હુમલો કર્યો. ભારતે જે સચોટતાથી પાકિસ્તાનના એર બેઝોને, તેમના સૈન્ય થાણાંઓને તબાહ કરી દીધા તેનાથી આખી દુનિયા અચંબિત થઈ ગયેલી.
પાક.ના હુમલાનો જવાબ આપણે એટલી તાકાતથી આપ્યો કે તેમના બધા એરબેઝ આજે પણ આઈસીયુમાં પડ્યાં છે. અને ત્યારે પાક. શરણાગતિ માટે મજબૂર બન્યું. પાક.ને લાગ્યું કે હવે બચી નહીં શકીએ.
ભારતે તેનું રૌદ્ર રૂપ દેખાડી દીધું છે. અંતે તો આ આપણી સેનાનું પરાક્રમ અને સાહસ હતું. કેટલાંક જ કલાકોમાં પાકિસ્તાને સફેદ ઝંડા લહેરાવવાનું શરુ કરી દીધું. તેમણે કહ્યું કે અમે ગોળી છોડવા નથી ઈચ્છતાં. આપણે તો અગાઉથી જ કહેલું કે અમારે આતંકવાદીઓના ઠેકાણાં તોડવાના હતા. તેમને સબક શીખવવાનો હતો. ત્યારબાદ પાકે. ચૂપ રહેવાની જરુર હતી પરંતુ પાકે. ભૂલ કરી તો તેની સજા પણ ભોગવવી પડી.
આતંક પોષતી સેના સરકાર સામે પાક. જનતા આગળ આવે
ભારતની લડાઈ સીમા પાર પોષાઈ રહેલા આતંકવાદ સામે છે, જે લોકો તેને પોષે છે તેમની સાથે દુશ્મની છે. હું કચ્છની ધરતી પરથી આજે પાકિસ્તાનના લોકોને પણ કહેવા ઈચ્છું છું કે શું મેળવ્યું તમે? હિન્દુસ્તાન વિશ્વનું ચોથું અર્થતંત્ર બની ગયું અને તમારા હાલ કેવા છે? તમારા બાળકોના ભવિષ્યને કોણે બરબાદ કર્યાં? તેમને દર-દર ભટકવા માટે કોણે મજબૂર કર્યાં? આતંકવાદના આકાઓએ. ત્યાંની સેનાનો એક જ એજન્ડા છે.
પાકિસ્તાનના નાગરિકો ખાસ કરીને ત્યાંના બાળકો, મોદીની વાત કાન ખોલીને સાંભળી લો કે તમારી સરકાર અને સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાક. સેના અને સરકાર માટે પૈસા કમાવવાનું માધ્યમ બની ગયો છે.
પાક.ના યુવકો, બાળકોએ નક્કી કરવું પડશે કે શું આ રસ્તો યોગ્ય છે? શું તેમનું ભલુ થઈ રહ્યું છે? સત્તા માટે આ જે ખેલ ખેલી રહ્યાં છે શું તેનાથી તેમની જીંદગી બનશે? હું પાક.ના બાળકોને કહેવા માંગુ છું કે કે તમારી સરકાર અને સેના આતંકવાદના ઓછાયામાં ઉછરી રહી છે. તે તમારા જીવનમાં જોખમ સર્જી રહી છે, તમારા ભવિષ્યને નષ્ટ કરી રહી છે. તમને અંધારામાં ધકેલી રહી છે.
પાક.ને આતંકની બીમારીથી મુક્ત કરવા માટે પાક. જનતા, નવયુવાનોએ આગળ આવવું પડશે. સુખ ચેનની જીંદગી જીવો, રોટી ખાવ નહિતર મારી ગોળી તો છે જ!
Share it on
|