કચ્છખબરડૉટકોમ, ભુજઃ પહલગાઁવ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળે મિસાઈલ્સનો મારો કરીને આતંકી કેમ્પોનો ખાત્મો બોલાવતાં કરેલાં ‘ઓપરેશન સિંદૂર’ના પગલે પાકિસ્તાન રઘવાયું થયું છે. ગુરુવાર અને શુક્રવારની રાત્રે પાકિસ્તાને દેશની પશ્ચિમી સરહદે સીરક્રીકથી લઈ લેહ સુધી ૩૬ શહેરો વિસ્તારોમાં ૩૦૦થી ૪૦૦ ડ્રોન મોકલીને હવાઈ સીમાનો ભંગ કર્યો હતો.
ગત રાત્રિ દરમિયાનના સમગ્ર ઘટનાક્રમ અંગે સત્તાવાર માહિતી આપતાં આજે સાંજે કર્નલ સોફિયા કુરેશી અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમનો ટેસ્ટ કરવા અને જાસૂસી કરવાના હેતુથી આ ડ્રોન ભારતમાં ઘૂસાડાયાં હતા જેને ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યાં હતાં. અનેક ડ્રોન તુર્કીના હોવાનું બહાર આવ્યું છે, તૂટી પડેલાં ડ્રોનનો કાટમાળ એકત્ર કરાઈ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે બુધવાર અને ગુરુવારની રાત્રે પાકિસ્તાને કચ્છ સહિત રાજસ્થાન, પંજાબ અને કાશ્મિરમાં ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી હુમલાનો પ્રયાસ કરેલો જેને ભારતે નાકામ કર્યો હતો.
પાકિસ્તાને પંજાબના ભટીંડાના સૈન્ય મથકને લક્ષ્યાંક બનાવવાના હેતુથી એક સશસ્ત્ર ડ્રોન (યુએવી) મોકલ્યું હતું જેને ભારતીય સૈન્યએ નિષ્ક્રિય બનાવી જપ્ત કરી લીધું હતું.
પાકિસ્તાનના અડપલાં સામે ભારતે પણ પાકિસ્તાનના ચાર સ્થળો પર સશસ્ત્ર ડ્રોનથી વળતો જવાબ આપ્યો હતો. જેમાંથી એક ડ્રોને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી.
કર્નલ સોફિયાએ જણાવ્યું કે આવી તંગદિલીભરી પરિસ્થિતિ વચ્ચે પણ પાકિસ્તાને પેસેન્જર એરલાઈન્સ માટેની એર સ્પેસ બંધ કરી નથી. પેસેન્જર વિમાનોને ઢાલ બનાવીને પાક. બેજવાબદારીપૂર્વક વહેવાર કરી રહ્યું છે તેમ જણાવી કરાચીથી લાહોર વચ્ચે ઉડેલાં એક પ્લેનના રૂટનો પૂરાવો આપ્યો હતો. પાક.ની આ હરકત સામે ભારતીય વાયુસેના પ્રતિક્રિયા આપવામાં ઘણો સંયમ દાખવી રહી છે.
એલઓસી પર પાક.નો અંધાધૂંધ તોપમારો જારી
પાક. દ્વારા એલઓસી નજીક આવેલા ઉરી, તંગધાર, મેંઢર, પુંચ, અખ્નુર, રાજૌરીમાં સશસ્ત્ર ડ્રોન અને હૅવી કેલિબર વેપન તથા આર્ટિલરી દ્વારા અંધાધૂંધ ગોળીબાર તોપમારો જારી રહ્યો છે જેનો ઘણાં ભારતીય સૈનિકો અને નિર્દોષ નાગરિકો ભોગ બન્યાં છે, સામે ભારત પણ મક્કમતાથી વળતો જવાબ આપી રહ્યું છે. વિદેશ સચિવ વિક્રમ મેસરીએ પાક.ના આ પગલાંને ઉશ્કેરણીજનક ગણાવી પાકિસ્તાનનું બેવડું વલણ દાખવી વિશ્વને ગેરમાર્ગે દોરતી ચાલ અંગે સવિસ્તર માહિતી આપી હતી.
સંરક્ષણ મંત્રીએ પશ્ચિમી સરહદની સુરક્ષાનો કર્યો રીવ્યૂ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આજે દેશની પશ્ચિમી સરહદે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે એક હાઈલેવલ મીટીંગ યોજી હતી. દિલ્હીના સાઉથ બ્લોક ખાતે આયોજીત આ બેઠકમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ ત્રિપાઠી, ચીફ ઑફ એર સ્ટાફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ, ડિફેન્સ સેક્રેટરી રાજેશકુમાર સિંઘ વગેરે જોડાયાં હતાં. પાકિસ્તાન સાથેના વર્તમાન તણાવ સંદર્ભે ભારતના વિવિધ રાજદૂતો સંબંધિત દેશોમાં ભારતના દ્રષ્ટિકોણ અને કાર્યવાહીને પૂરાવા સાથે રજૂ કરી ભારતનો પક્ષ મજબૂત કરી રહ્યાં છે.
ચેનલો અને છાપાઓમાં ફેક ન્યૂઝનું બોમ્બાર્ડિંગ
ભારત સરકારના સત્તાવાર પ્રેસ બ્રિફિંગમાં પાકિસ્તાનના ઊંબાડિયા સામે તે જ પધ્ધતિથી સીમાને ઓળંગ્યા વગર વળતો જવાબ અપાતો હોવાનું જણાવાયું છે. સત્તાવાર માહિતી સામે ગત રાત્રે દેશની પ્રાદેશિક અને રાષ્ટ્રીય ટીવી ચેનલો પર થયેલું ન્યૂઝ કવરેજ તથા આજના જિલ્લાકક્ષાથી લઈ રાષ્ટ્રીય સ્તરના અખબારોમાં છપાયેલાં મોટાભાગના સમાચારો ફેક હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
રાત્રે વિવિધ ટીવી ચેનલોમાં ‘કરાચી બંદરનો સફાયો, આઈએનએસ વિક્રાંતે કરાચીમાં હુમલો કર્યો, ભારતીય સેનાની કાર્યવાહીમાં અડધું પાકિસ્તાન સાફ થઈ ગયું, પીઓકેમાં ભારતીય સેનાએ ઘૂસી જઈને પીઓકેને કબજે કર્યું, યુધ્ધના મંડાણ, ભારતનો વળતો ભીષણ હુમલો, લાહોર સિયાલકોટમાં ભારતીય સેનાના હુમલામાં ભારે નુકસાન, રાજસ્થાનમાં પાક.ના બે ફાયટર જેટ તોડી પડાયાં, પાક.ના પાયલટને પકડવામાં આવ્યો, પાક.ના પ્રધાન મંત્રી શાહબાઝ શરીફ બંકરમાં છૂપાયાં, રાજૌરીમાં આત્મઘાતી હુમલો થયો’ વગેરે જેવા ધડ માથાં વગરના સમાચાર પ્રસારિત થયાં હતાં. લોકોમાં યુધ્ધોન્માદ પેદા કરતાં ભ્રામક અને નકરાં જૂઠ્ઠાં સમાચારોના બોમ્બાર્ડિંગથી દેશની આમજનતા ભ્રમિત થઈ હતી.
ઘણી ટીવી ચેનલોએ અન્ય દેશોના યુધ્ધના દ્રશ્યો, વીડિયો ગેમ્સના સિમ્યુલેશનના ફૂટેજ કે જૂનાં વીડિયોને ન્યૂઝ તરીકે પ્રસારિત કર્યાં હતાં.
આવા વીડિયોને ખુદ સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરૉના ફેક્ટ ચેક યુનિટે ફેક ન્યૂઝ તરીકે જાહેર કર્યાં હતાં. બાડમેરમાં મિસાઈલ્સનો હુમલો થયો હોવાના એક ટીવી ચેનલના સમાચારનો બાડમેરના કલેક્ટરે રદિયો આપવો પડ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયે ફરી જારી કરવી પડી ગાઈડલાઈન
કેન્દ્ર સરકારથી લઈ જિલ્લા સ્તરે વહીવટી તંત્ર સૌ કોઈ એકસૂરે સ્પષ્ટ સૂચના આપી રહ્યાં છે કે લોકો ફેક ન્યૂઝની માયાજાળમાં ના ફસાય. કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયે પણ આજે સવારે વધુ એકવાર ગાઈડલાઈન જારી કરી મીડિયાને સૂચના આપવી પડી છે કે તે ‘સૂત્રોના પાસેથી મળતી વિગતો’ ‘સૂત્રોના દાવા અનુસાર’ વગેરેના અંચળા હેઠળ ન્યૂઝ આપવાનું ટાળે. માધ્યમો ડિફેન્સ ઓપરેશનનું લાઈવ કવરેજ કે રીયલ ટાઈમ રીપોર્ટીંગ કરવાનું ટાળે, તેનાથી નુકસાન થઈ શકે છે. પહલગાઁવ હુમલા બાદ થયેલા બેજવાબદાર રીપોર્ટીંગના પગલે સંરક્ષણ મંત્રાલયે ચૌદ દિવસમાં બીજી વખત આ જ ગાઈડલાઈન ઈસ્યૂ કરવી પડી છે! ખરેખર તો આવા ફેક ન્યૂઝ ફેલાવતાં માધ્યમો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.
અશ્વત્થામા હણાયો એ સાયકોલોજીકલ વૉરફેરનું પ્રમાણ
નિષ્ણાતોના મતે યુધ્ધ જેવી પરિસ્થિતિમાં ઘણીવાર વ્યૂહાત્મક રીતે દુશ્મનને ભ્રમિત કરવા ચોક્કસ પ્રકારના પ્રોપેગેન્ડા પ્રેરિત અર્ધસત્ય ફેલાવાતું હોય છે. જેને ઘણાં સાયકોલોજીકલ વૉરફેર કહે છે. મહાભારતના યુધ્ધમાં દ્રોણાચાર્યને હતોત્સાહ કરી તેમનો વધ કરવાના હેતુથી ‘અશ્વત્થામા હણાયો’ તેવું અર્ધસત્ય કૃષ્ણના કહેવાથી જ કહેવાયું હતું. હકીકત એ હતી કે તેમનો પુત્ર અશ્વત્થા નહીં પણ અશ્વત્થામા નામનો હાથી હણાયો હતો. જો કે, સાવ વાહિયાત અને તુરંત પકડાઈ જાય તેવા ફેક ન્યૂઝ દેશવાસીઓને માથે મારવા પાછળનું કારણ ફક્ત અને ફક્ત ટેલિવિઝન રેટીંગ પોઈન્ટસ (ટીઆરપી)ની હોડ લાગી રહી છે. અશ્વત્થામા હણાયો એ અર્ધસત્યને સમર્થન આપનાર ધર્મરાજા યુધિષ્ઠિરનો રથ પછી બે વ્હેંત નીચે આવી ગયો હતો.
Share it on
|