|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઉપરી અધિકારીઓના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેનારાં યુવકના બનાવમાં ભુજ સેશન્સ કૉર્ટે ૩૮ વર્ષિય મહિલા એચ.આર. ઑફિસરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. યુવકની આત્મહત્યાના અંદાજે બે વર્ષ બાદ માનકૂવા પોલીસ મથકે ત્રણ લોકો સામે તેને મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો. ઉત્તરાખંડનો સચિન જયપ્રકાશ સૈની નામનો યુવક નાઈલ હાઉસ કિપીંગ કંપનીએ ભુજની ભાગોળે સેડાતા પાસે આવેલા ધ વિલા રિસોર્ટ સાથે કરેલાં કોન્ટ્રાક્ટ હેઠળ રિસોર્ટમાં હાઉસ કિપર તરીકે નોકરીએ રહેલો. અંદાજે બે મહિના સુધી તેણે રિસોર્ટમાં કામ કરેલું. સચિનનો હાઉસ કિપીંગ હેડ કુલદીપસિંગ ગરીયા (રહે. હરિદ્વાર, ઉત્તરાખંડ), એચ.આર. ઑફિસર બિપાશા વીરેન્દ્રસિંગ ચટોપાધ્યાય (રહે. પશ્ચિમ બંગાળ) અને અત્તરસિંગ પોશતા (રહે. દિલ્હી) સતત માનસિક ત્રાસ આપતાં હોઈ ૨૬-૦૪-૨૦૨૪ના રોજ પોતાના સ્ટાફ ક્વાર્ટરની રૂમને અંદરથી બંધ કરી ગળેફાંસો ખાઈ સચિને આપઘાત કરી લીધો હતો.
મરતાં અગાઉ સચિને મરણચિઠ્ઠી લખેલી
મરતાં અગાઉ સચિને સ્યુસાઈડ નોટ લખેલી. જેમાં તેણે લખેલું કે કુલદીપ અને બિપાશાએ તેને નોકરીના પહેલાં જ દિવસથી ત્રાસ આપવાનું શરૂ કરેલું.
તબિયત સારી ના હોય અને રજૂઆત કરે તો આરોપીઓ તેને બહાનાબાજી કરે છે તેમ કહેતાં. રિસોર્ટનો બધો સ્ટાફ રજા પર ગયેલો ત્યારે તેની પાસે બધા કામનો ઢસરડો કરાવાયેલો અને પછી તું બરાબર કામ કરતો નથી તેમ કહીને તેને નોકરીમાં કાઢી મૂકેલો.
સચિને લખેલું કે રિસોર્ટનો બધો સ્ટાફ દારૂ પીતો હતો પરંતુ પોતે પીવે ત્યારે તારી પાસે લાયસન્સ ક્યાં છે તેમ કહી જેલમાં જવાની બીક બતાડીને હેરાન કરીને તેના પિતાને ફોન કરીને ફરિયાદ કરતાં હતા કે તમારો દીકરો રોજ દારૂ પીવે છે. આરોપીઓએ તેને પગાર આપ્યા વગર નોકરી પરથી કાઢી મૂકતાં તેને લાગી આવ્યું હતું.
હસ્તાક્ષર નિષ્ણાતોની ખરાઈ બાદ ગુનો નોંધાયેલો
સ્યુસાઈડ નોટના આધારે માનકૂવાના તત્કાલિન પીઆઈ ડી.આર. ચૌધરીએ ફરિયાદ દાખલ કરવાના બદલે મરણ ચિઠ્ઠીમાં લખેલાં હસ્તાક્ષર મૃતક સચિનના જ છે કે કેમ તેની ખરાઈ કરવા હસ્તાક્ષર નિષ્ણાતો પાસે ચિઠ્ઠી મોકલેલી. જેમાં બેએક વર્ષનો વિલંબ થયેલો. હસ્તાક્ષર નિષ્ણાતે હસ્તાક્ષર મૃતકના જ હોવાનો અહેવાલ આપતાં સચિનના પિતા જયપ્રકાશ સૈનીએ ૧૯-૦૨-૨૦૨૬ના રોજ માનકૂવા પોલીસ મથકે ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. FIR વિલંબથી દાખલ થઈ હોવાનો, સુસાઈડ નોટમાં બિપાશાનું નામ નહીં પરંતુ એચ.આર. લખેલું હોવાનું, સહઆરોપીને આગોતરા જામીન મળ્યાં હોઈ સમાનતાના સિધ્ધાંત પર બિપાશાને પણ આગોતરા આપવા સહિતના મુદ્દે બચાવ પક્ષે રજૂઆત કરેલી. જો કે, સાતમા અધિક સેશન્સ જજ ટી.એન. ખંધડીયાએ આ દલીલોને ફગાવી દઈને બિપાશાની અરજી ફગાવી દીધી છે.
Share it on
|