|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નકલી સાટા કરારથી મુંદરા તાલુકાના લુણીની કિંમતી જમીન પચાવી પાડવાની પેરવી કરવાના કૌભાંડમાં સંડોવાયેલા એક આરોપીની નિયમિત જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. પાલારા જેલમાં કેદ નોટરીના કહેવાતા માણસ યોગેશ માલશી આયડી (રહે. ગોયરસમા, મુંદરા)એ કરેલી જામીન અરજી કૉર્ટે રીજેક્ટ કરી છે. કૌભાંડ અંગે ૨૨-૦૫-૨૦૨૬ના રોજ નખત્રાણા નિરોણા ગામના સૂત્રધાર નીતિન ઉમરશી ભાનુશાલી, તેના સાગરીત યોગેશ આયડી અને હિમાંશુ મકવાણા સામે મુંદરા પોલીસ મથકે મુંબઈ સ્થાયી થયેલાં ૬૬ વર્ષિય પ્રફુલ્લ શાહે ફરિયાદ નોંધાવેલી. આરોપીએ કાવતરું રચીને પહેલાં ફરિયાદીનો સંપર્ક કરી લુણીમાં પ્રફુલ્લભાઈ અને તેમના ભાઈ-ભત્રીજાઓની સંયુક્ત માલિકીની ખેતીની જમીનો ૧૭.૪૨ કરોડમાં ખરીદવા સોદો નક્કી કરેલો. ત્યારબાદ ટુકડે ટુકડે ૬૭ લાખ રૂપિયા આપીને સાટા કરાર બનાવેલો.
ત્રિપુટીએ મૂળ સાટા કરારના બે પાનાં બદલીને, ફરિયાદી તથા ભાઈઓ ભત્રીજાઓની નકલી સહીઓ કરીને, નોટરીના ખોટાં સિક્કા મારીને આ ખેતરોના ઓછાં ભાવે અન્ય લોકો સાથે સાટા કરાર બનાવેલાં. એટલું જ નહીં, ફરિયાદી સહિતના લોકો સામે મુંદરા કૉર્ટમાં ખોટાં આરોપ સાથે દિવાની દાવો માંડેલો.
યોગેશની અરજીની સુનાવણી દરમિયાન કૉર્ટે પોલીસ પેપર્સ અને વકીલે કરેલી દલીલોના આધારે જણાવ્યું કે યોગેશે સાટા કરારમાં સહીઓ લેવા સહઆરોપીઓ સાથે મુંબઈ ગયેલો. નોટરી વખતે પણ તે હાજર હતો. મૂળ સાટા કરારના બે પાનાં ગાયબ કરીને બોગસ દસ્તાવેજ ઊભો કરવામાં તેણે નકલી સહી સિક્કા કર્યાંનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. નોટરીના રજિસ્ટરમાં આવા કોઈ દસ્તાવેજની નોંધણી જ થયેલી નથી. ગુનાનો સૂત્રધાર નીતિન ભાનુશાલી હજુ પકડાયો નથી, ગાયબ થયેલાં બે પાનાં હજુ મળ્યાં નથી, ગુનાની તપાસ હજુ ચાલુ છે વગેરે ગ્રાઉન્ડ પર ત્રીજા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|