કચ્છખબરડૉટકોમ, ભુજઃ શાળા પ્રવેશોત્સવના સરકારી તાયફાનું આયોજન ખોરવાય નહીં તે ખાતર આગામી ૨૭ જૂનના રોજ કચ્છી નવા વર્ષની જાહેર રજાને રદ્દ કરવામાં આવતાં કચ્છમાં ભારે કચવાટ ફેલાયો છે. અષાઢી બીજની કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી થાય છે અને કચ્છની સરકારી શાળાઓમાં જાહેર રજા હોય છે. જો કે, જિલ્લા શિક્ષણાધિકારીએ કચ્છના તમામ તાલુકા શિક્ષણાધિકારીને કચ્છી નવા વર્ષની રજા રદ્દ કરવામાં આવી હોવાનો પરિપત્ર પાઠવ્યો છે. ગાંધીનગરના નાયબ શિક્ષણ નિયામકના પત્રના આધારે ઈન્ચાર્જ ડીપીઈઓ કમલેશ ખટારિયાએ આ સર્ક્યુલર જારી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી અને આચારસંહિતાને અનુલક્ષીને આ વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ ઠેલી ૨૬, ૨૭, ૨૮ જૂનના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
સામાન્યતઃ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ નિમિત્તે રજા જાહેર કરાતી હોય છે. પરંતુ, આ વખતે સરકારી તાયફો જારી રહે, અધિકારીઓ અને મંત્રીઓ શાળાના ભૂલકાં જોડે ફોટા પડાવે તે હેતુથી નવા વર્ષથી રજા રદ્દ કરવામાં આવી છે અને તેના બદલે નવરાત્રિના બીજા નોરતે (આસો સુદ બીજ) વળતર રજા જાહેર કરાઈ છે!
કચ્છની ભોળી જનતાએ વિધાનસભાની તમામ છ બેઠકો પર ભાજપના ધારાસભ્યો ચૂંટ્યાં છે, ત્રણ ટર્મથી સંસદ સભ્ય પણ ભાજપનો ચૂંટાય છે. ત્યારે, આમાંથી ચૂંટાયેલો એકેય જનપ્રતિનિધિ આ મામલે સરકારને રજૂઆત કરે છે કે કેમ તે જોવું રહ્યું.
ગુજરાતમાં ભાજપની સરકારને ત્રણ દાયકા થયાં પરંતુ કચ્છમાં સરકારી પ્રાથમિક શિક્ષણની અવદશા યથાવત્ રહી છે. ત્યાં, સરકારી તાયફા ખાતર નવા વર્ષની રજા રદ્દ કરાતાં લોકોમાં રોષ અને કચવાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, પોતાને કચ્છના મિત્ર ગણાવીને બેધડક સત્ય પીરસતાં હોવાના ભ્રામક દાવા કરતાં ‘ડૉગી મીડિયા’ના લોકો આ મામલે પ્રારંભથી જ ચૂપ છે.
Share it on
|