click here to go to advertiser's link
Visitors :  
20-Jun-2025, Friday
Home -> Bhuj -> Kutch Collector freez land accounts of accused builder Sanjay Shah and aide
Friday, 19-Jan-2024 - Bhuj 68942 views
ભુજ જમીન કૌભાંડના આરોપી સંજય શાહ અને સ્વજનોના નામની કચ્છની તમામ જમીનો ફ્રીઝ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ જમીન કૌભાંડના આરોપી સંજય છોટાલાલ શાહ તેમજ તેના પરિવારજનો તથા પાર્ટનરોના નામે ભુજ અને માધાપર સહિત કચ્છમાં વિવિધ તાલુકાઓમાં આવેલી જમીનો જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ફ્રીઝ કરી દીધી છે. સંજય શાહ અને તેના પરિવારજનોએ ખેડૂત ના હોવા છતાં ખોટાં આધારોના નામે ખેડૂત ખાતેદાર બનીને મોટાપાયે ખેતીની જમીનો ખરીદી હોવાની રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટરે ગણોતધારાની કલમ ૧૨૨ તળે આ હુકમો કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે ભુજમાં સરકારી ખરાબાની જમીન ખેતી હેતુ ‘લાગુની જમીન’ તરીકે મંજૂર કરાવી પાછળથી ગેરકાયદે એનએ કરાવી કૌભાંડ આચરવા સબબ ગત સપ્ટેમ્બર ૨૧-૦૯-૨૦૨૩ના રોજ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય શાહ સહિત સંબંધિત સરકારી અધિકારીઓ સામે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધી તેમની ધરપકડ કરેલી. સંજય શાહ ક્યુબ કન્સ્ટ્રક્શન એન્જિનિયરીંગ લિમિટેડના નામે વડોદરામાં કંપની ધરાવે છે અને રાજ્ય સરકારની વિવિધ જાહેર ઈમારતો સહિત મહત્વના પ્રોજેક્ટ્સનું નિર્માણ કાર્ય કરેલું છે. મૂળ કચ્છના વતની સંજય શાહે ભૂકંપ બાદ ભુજમાં વિવિધ સરકારી ઈમારતોનું નિર્માણ કરેલું અને તે સમયે તે પ્રદીપ શર્માના પરિચયમાં આવ્યો હતો.

બોગસ ખેડૂત ખાતેદાર હોવાની રજૂઆત

સંજય શાહના કૌભાંડ સંદર્ભે સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યું હતું કે શાહે પોતાને વડોદરાનો ખેડૂત જણાવી ભુજની સર્વે નંબર ૭૦૯વાળી જમીન ખરીદી હતી. દરમિયાન, ભુજના જાગૃત નાગરિક ઈશ્વર દાદલાણીએ સંજય શાહ અને તેના પરિવારજનોએ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનીને કચ્છમાં મોટાપાયે ખેતીની જમીનોનું ખરીદ વેચાણ કર્યું હોવાની સીઆઈડીને રજૂઆત કરી હતી. સરકારી નિયમ મુજબ ખેડૂત હોય તે જ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે છે. મામલતદારનું ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર રજૂ હોય તો જ તેની નોંધ પ્રમાણિત થઈ શકે છે. પરંતુ, સંજય શાહની માતા જ્યોતિબેન છોટાલાલ શાહના પારિવારીક આંબાના પૂરાવાના આધારે દાદલાણીએ રજૂઆત કરી હતી કે જ્યોતિબેન ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યાં હતા.

સંજયના ભાઈ બીરજુનો ખુલાસો ખોટો ઠર્યો

આ મામલે તપાસ ચાલું હોઈ સંજય શાહ અને તેના પરિવારના નામે કચ્છમાં બોલતી જમીનોના રેકર્ડ પર અન્ય કોઈ ટ્રાન્ઝેક્શન ના થાય તે હેતુથી તેને ફ્રીઝ કરી દેવા સીઆઈડી ક્રાઈમ અને દાદલાણીએ રજૂઆતો કરેલી. રજૂઆતો અન્વયે તંત્રએ સંજય શાહના નાના ભાઈ બીરજુ શાહનો ખુલાસો મેળવતાં બીરજુએ તેમના નામે ભુજ શહેર, સીમ અને માધાપરમાં આવેલી વિવિધ જમીનો વિવિધ લોકોને અગાઉ વેચાણ કરી હોવાનો ખુલાસો આપ્યો હતો. તંત્રએ ખરાઈ કરતાં બીરજુનો ખુલાસો ખોટો નીકળ્યો હતો. શાહ પરિવારના નામે કચ્છમાં વિવિધ સ્થળે જમીનો બોલતી હોઈ કલેક્ટરે તમામ રેકર્ડ ફ્રીઝ કરવા હુકમ કર્યો છે.

કલેક્ટરે બે વખત અલગ અલગ હુકમ કરી સ્ટે મૂક્યો

કલેક્ટર અમિત અરોરાએ ભુજ શહેર, ભુજ સીમ અને માધાપરમાં કુલ ૧૪ સર્વે નંબરવાળી જમીનોના ટ્રાન્ઝેક્શન પર ૨૩-૧૧-૨૦૨૩ના રોજ સ્ટે ફરમાવ્યો હતો. સ્ટે ફરમાવ્યાં બાદ તેમના નામે અબડાસાના નાના નાન્ધ્રા, ભુજના મોટા વરનોરા, નખત્રાણાના નાના અંગીયા, નાના વાલકા અને જારજોક તથા ભુજ સીમ, શહેર અને માધાપરના વધુ ૧૩ સર્વે નંબર પણ તેમના નામે બોલતાં હોવાનું બહાર આવતાં કલેક્ટરે ૧૨-૧૨-૨૦૨૩ના રોજ બીજો હુકમ કરી આ સર્વે નંબરો પર પણ સ્ટે ફરમાવ્યો હતો. જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ જમીનો પર સ્ટે રહેશે.

Share it on
   

Recent News  
LPG બાટલાના ગેરકાયદે કારોબાર બદલ ગાંધીધામની નવનીત એજન્સીના જવાબદારો સામે ફોજદારી
 
ભદ્રેશ્વરમાં ખનિજ તંત્રની ટીમ જોડે ડાટી ડફારા કરીને ચાર જણે જેસીબીને ભગાડી દીધું
 
સસ્તાં સોનાના નામે ભુજના ૩ ચીટરે રાજસ્થાનના યુવક જોડે ૬૦ લાખ રૂપિયાની ઠગાઈ કરી