કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં મંદિર ચોરી અને ઘરફોડના બે ગુના જુદા જુદા પોલીસ મથકોમાં દાખલ થયાં છે. ખાવડા નજીક મોટા દિનારા ગામે મારવાડા વાસમાં આવેલા ચામુંડા માના મંદિરનું તાળું તોડી અજાણ્યો તસ્કર માતાજીને ધરાવાયેલું ૪ હજારનું ચાંદીનું છત્તર અને મંદિરમાં પડેલી બેથી અઢી હજારની રોકડ રકમ ચોરી ગયો છે. ચોરીનો બનાવ ૨૬ અને ૨૭ મેની રાતે બનેલો. તેની ફરિયાદ ખાવડા પોલીસ મથકે આજે દાખલ થઈ છે. એ જ રીતે, આદિપુરના આદિસર તળાવ નજીક આવેલા બગીચાનું રખોપું કરતા ચોકીદારના ઘરમાંથી તસ્કરો ૧.૮૫ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં, રોકડા ૪ હજાર રૂપિયા અને કપડાં લત્તા ભરેલો થેલો ચોરી ગયાં છે.
ચોરીનો બનાવ ૨૨ મેની રાત્રે બે વાગ્યાથી સાડા પાંચના અરસામાં બન્યો હતો.
ફરિયાદી દયારામ પાટડીયાએ જણાવ્યું કે સાઢુના દીકરાના લગ્નપ્રસંગે વતન વલ્લભપર, રાપર જવાનું હોઈ ઘરના બધા દર-દાગીના અને કપડાં લત્તા એક થેલામાં ભરીને ઘરની અંદર આવેલા સિલાઈ મશીન પર મૂક્યાં હતા. મધરાત્રે બે વાગ્યે દીકરીને ગરમી લાગતી હોઈ તેણે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને પરોઢે સાડા પાંચ વાગ્યે ફરિયાદી ઉઠ્યો ત્યારે થેલો ચોરાઈ ગયો હોવાની જાણ થઈ હતી. ફરિયાદ આજે દાખલ થઈ છે.
Share it on
|