કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં એકના ત્રણ ગણાં રૂપિયા આપવાની લાલચ આપતી ઠગ ટોળકીઓ પોલીસની મીઠી અને મેલી મથરાવટી કારણે બેફામ બની છે તે વચ્ચે ગાંધીધામમાં પોલીસે અંજારના બે શખ્સો સામે ૫૦ હજારના ચીટીંગનો ગુનો નોંધ્યો છે. સુરત રહેતા હસન અન્સારી નામના યુવકે પોલીસને જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ પર કાર્તિક જોશી નામના એકાઉન્ટ પર રૂપિયા ડબલ કરી આપશું તેવી રીલ જોયેલી. હસને સંપર્ક કર્યો તો તેને એકના ત્રણ ગણાં રૂપિયા આપવાની લાલચ અપાયેલી. જો કે, હસન પાસે માંડ પચાસ હજાર રૂપિયા હતાં. ટોળકીએ તેને પચાસ હજાર સામે એક લાખ રૂપિયા મળવાનું ગાજર લટકાવીને ગાંધીધામ બોલાવ્યો હતો. હસન ટ્રેનમાં બેસીને ૨૫ મેની સવારે ગાંધીધામ આવ્યો હતો અને ગઠિયાઓનો સંપર્ક કરેલો.
થોડીકવાર બાદ રેલવે સ્ટેશન બહાર બ્રિજ નીચે મોટર સાયકલ લઈ બે યુવકો આવેલાં. તેમણે તેમની પાસે રહેલી થેલીમાં રાખેલા પાંચસો પાંચસોની નોટના બંડલો બતાડીને તે થેલી આપી, હસન પાસે રહેલા અસલી પચાસ હજાર રૂપિયા લઈને રવાના થઈ ગયાં હતાં.
હસને થેલીમાં રહેલા બંડલો બહાર કાઢી ચેક કરતાં ઉપર નીચે પાંચસો પાંચસોની અસલી નોટો અને વચ્ચે કોરાં કાગળોની થપ્પી રાખી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન, હસનને નવસારી રહેતો તેનો મિત્ર આમીર ગુલમોહમ્મદ પઠાણ અહીં મળી ગયો હતો.
આમીરે પણ પોતે કાર્તિક જોશીની આઈડી જોઈ એક કા તીન કરવા ગાંધીધામ આવ્યો હોવાનું જણાવેલું.
જો કે, અંજારનો અલી અસગર સુલેમાન શેખ અને અલ્તાફ ઈબ્રાહિમશા શેખ બેઉ આ રીતે લોકોને લલચાવીને બાટલીમાં ઉતારતાં હોવાની ખબર પડી જતાં તેણે રૂપિયા આપ્યાં નહોતાં. બનાવના પગલે બેઉ જણે સાથે જઈને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે હસને આપેલી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ભુજમાં રીઢા ચીટરો બેફામ બનવાની ભીતિ
ભુજમાં ‘એક કા તીન’ના નામે લોકોને ઠગતી ટોળકીએ કોલકતાના યુવકનું દસ લાખ રૂપિયામાં ‘કરી’ નાખ્યું હોવાનો બનાવ બહાર આવ્યા બાદ, FIR નોંધી આરોપીઓને પકડી, રૂપિયા રીકવર કરવાના બદલે પોલીસ દ્વારા ચીટરોનો બારોબાર કોન્ટેક્ટ કરી યુવકને રૂપિયા પરત અપાવી દઈ મામલો રફેદફે કરી દેવાની ઘટનાએ પોલીસ તંત્ર અને કાયદાની આલમમાં ભારે ચકચાર સર્જી છે.
એક IPS અધિકારી જ્યારે પોલીસ અધિકારનો આવો ગંભીર ગુનો બહાર આવે ત્યારે ચીટરો સામે તત્કાળ ગુનો દાખલ કરાવવાના બદલે બારોબાર રૂપિયા પરત અપાવે અને પલળેલાં પોલીસ કર્મચારીની બદલી કરી સંતોષ માની લે તે બાબત અત્યંત ગંભીર છે.
આ બનાવથી આવી મોડસ ઓપરેન્ડીથી ચીટીંગ કરતાં રીઢા અપરાધીઓ બેફામ બનવાની ચિંતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સસ્તાં સોના કે એક કા તીનની મોડસ ઓપરેન્ડીથી લાખો કરોડો રૂપિયાની ઠગાઈનો ભોગ બનનારાં દેશના ખૂણે ખૂણે વસતાં અનેક લોકોની ફોજદારી ફરિયાદો દાખલ કરી, આરોપીઓને ન્યાયની અદાલતમાં રજૂ કરીને, શક્ય તેટલી મહત્તમ રકમ રીકવર કરીને પોલીસે કાયદાસંમત કાર્યવાહી કરેલી છે.
Share it on
|