કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપર નવાવાસ ગામે ઐશ્વર્યાનગરમાં ફૂડ પોઈઝનીંગની ઘટનાના પગલે સરકારી તંત્રોમાં દોડધામ મચી ગઈ છે. ગત રાત્રે અહીં આવેલા સિધ્ધેશ્વર મહાદેવ મંદિરમાં બટુક ભોજનનું આયોજન કરાયું હતું. ભોજન કર્યાં બાદ મોડી રાતે ૭૦ જેટલાં બાળકોને ઊલટી ઉબકા આવવાનું શરૂ થયેલું. ૩૨ બાળકોને જી.કે. જનરલ અને ૮ બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલાં. અન્ય પચ્ચીસ જેટલાં બાળકોને ઘરે જ સારવાર અપાઈ હતી.
અમુક વયસ્કોને પણ ફૂડ પોઈઝનીંગની હળવી અસર થઈ હતી. ભોગ બનનારા લોકોએ દાળ-ભાત અને સેવ-બુંદી આરોગ્યાં બાદ છાશ પીધી હતી.
છાશ બનાવવા માટેનું દહીં નજીકમાં આવેલી ‘શિવ ડેરી’માંથી ખરીદવામાં આવેલું. સેવ અને બુંદી માધાપર બસ સ્ટેન્ડ નજીક આવેલી ‘ખાવડા સ્વીટ્સ’માંથી ખરીદવામાં આવ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે બંને સ્થળે તપાસ હાથ ધરીને દહીં, બુંદી, સેવના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યાં છે. આરોગ્ય તંત્રએ પણ ઘરોઘર સર્વે હાથ ધરીને લોકોને દવા ગોળી આપ્યાં હતા. છાશ પીવાથી જ લોકોને ફૂડ પોઈઝનીંગ થયું હોવાની આશંકા દર્શાવીને સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે જે લોકોએ ભોજન નહોતું કર્યું અને માત્ર છાશ પીધેલી તેમને પણ ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી.
Share it on
|