કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોવિડના નવા વાયરસે માથું ઊંચકતાં રાષ્ટ્ર અને રાજ્યમાં લોકો ચિંતિત બન્યાં છે. સરકારો પણ સતર્ક બની છે. તે વચ્ચે આજે સવારે જામનગર મહાનગરપાલિકામાંથી આવેલા એક ફોને કચ્છના આરોગ્ય વિભાગને દોડતો કરી દીધો હતો. પાંચ છ દિવસ અગાઉ જામનગરનો એક પરિવાર કચ્છમાં ફરવા આવ્યો હતો. આ પરિવાર માંડવીના એક ખાનગી રિસોર્ટમાં રોકાયો હતો અને બાદમાં પરત ફરતી વખતે ભુજમાં સ્મૃતિવનની મુલાકાત લીધી હતી. કચ્છથી ફરીને જામનગર ગયાં બાદ પરિવારના ૩૭ વર્ષિય પુરુષ સદસ્યમાં કોવિડના લક્ષણો જોવા મળતાં તેનો ટેસ્ટ કરાયો હતો, જે પોઝીટીવ આવ્યો છે.
જેના પગલે જામનગર મહાનગરપાલિકાએ કચ્છના આરોગ્ય વિભાગને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી જરૂરી અટકાયતી પગલાં લેવા આજે સૂચના આપી હતી.
જેથી આરોગ્ય વિભાગની ટીમ માંડવીના ખાનગી રિસોર્ટ અને ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે ધસી ગઈ હતી. રિસોર્ટના સ્વિમિંગ પુલમાં રહેલું તમામ પાણી ખાલી કરી દેવડાવાયું હતું અને રિસોર્ટના તમામ સ્ટાફનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. એ જ રીતે, ભુજના સ્મૃતિવનમાં પણ તમામ સ્ટાફનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું.
ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારે જણાવ્યું કે માંડવી અને ભુજમાં કુલ ૪૬ લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું અને સદભાગ્યે કોઈનામાં કોવિડના કોઈ જ પ્રકારના લક્ષણો જણાયાં નથી.
કોવિડનો નવો સ્ટ્રેઈન પ્રમાણમાં માઈલ્ડ હોવાનું અને સામાન્ય અસર સિવાય તેનાથી કોઈ ગંભીર તકલીફ થતી ના હોવાનું કેશવકુમારે ઉમેર્યું હતું. લોકો બિનજરુરી ગભરાટમાં આવ્યા વગર સતર્ક રહે તે જરૂરી છે.
Share it on
|