|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ સંગઠિત ટોળકી બનાવીને મિલકત અને શરીરવિરોધી ગુનાઓ આચરવા બદલ વિશેષ ગુજસીટોક એક્ટ તળે અંદર થયેલી અંજારની ત્રિપુટી પૈકી બે જણે ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજની ખાસ કૉર્ટે ફગાવી દીધી છે. અંજારમાં લાંબા સમયથી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટ બનાવીને ગુંડાગર્દી આચરી રહેલી ત્રિપુટીની ગત ૩૦મી જાન્યુઆરીના રોજ પોલીસે ગુજસીટોક તળે ધરપકડ કરી હતી. પોલીસ પકડેલા ખુશાલ રમેશગર ગોસ્વામી (ઉ.વ. ૩૨, રહે. લખુ બાપાનગર, મેઘપર બોરીચી મૂળ રહે. ગણેશનગર, ભુજ), દેવાંગ દિલીપભાઈ ચાવડા (ઉ.વ. ૨૭, જન્મોત્રી સોસાયટી, અંજાર) અને કિશોર ઊર્ફે રામ નાનુગર બાવા (ગુંસાઈ) (ઉ.વ. ૨૧, વિજયનગર, અંજાર) પૈકી ખુશાલ અને દેવાંગે ચાર્જશીટ દાખલ થયાં બાદ નિયમિત જામીન મેળવવા ભુજની વિશેષ ગુજસીટોક કૉર્ટમાં અરજી દાખલ કરી હતી.
ત્રણ જણ પર હુમલો કરી લૂંટ આચરેલી
ગત ૧૮મી જાન્યુઆરીની રાત્રે આ ટોળકીએ મેઘપર બોરીચી પાસે બે બાઈક પર પસાર થઈ રહેલાં બે સગાં ભાઈ સહિત ત્રણ યુવકો પર છરી ધોકાથી હુમલો કરી બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની પાસે રહેલા મોબાઈલ ફોન અને બાઈકની લૂંટ ચલાવેલી. ખુશાલ ગોસ્વામી વિરુધ્ધ વિવિધ સાત ગંભીર ગુના નોંધાયેલાં છે, દેવાંગ ચાવડા સામે ચાર અને કિશોર બાવા સામે ત્રણ ગુના નોંધાયેલાં છે.
બંને આરોપીની ગુનામાં સંડોવણી, ગુનાહિત ઈતિહાસ અને ગુનામાં પ્રથમદર્શનીય સંડોવણી માનીને તેમને જામીન પર છોડાય તો સાક્ષીઓ કે પુરાવાને પ્રભાવિત કરી શકે છે તેમ જણાવી સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ જામીન પર છોડવા ઈન્કાર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કૉર્ટ કિશોર ગુંસાઈની અરજી પણ ફગાવી ચૂકી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|