click here to go to advertiser's link
Visitors :  
07-Jul-2025, Monday
Home -> Bhuj -> Australia sixth World Cup title beat India in final
Sunday, 19-Nov-2023 - Kutch 27953 views
ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલમાં ભારતના પરાજયથી કરોડો ભારતીય ક્રિકેટચાહકો નિરાશ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અમદાવાદમાં રમાયેલી વન ડે ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટે ભારતને પરાજય આપતાં ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈ ગયાં છે. ભારતે બનાવેલાં ૨૪૦ રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાને ઉતરેલાં ઑસ્ટ્રેલિયન બેટસમેન પર ત્રાટકીને ભારતે પ્રથમ ત્રણ વિકેટ ખેરવી લેતાં મેચ અત્યંત રોમાંચક બની ગઈ હતી અને ભારત હરીફ પર હાવી થઈ ગયું હતું.

પરંતુ, ઑસ્ટ્રેલિયન બેટસમેન ટ્રેવિસ હેડ અને લાબુશેને ધૈર્ય સાથે સાતત્યપૂર્ણ રમત રમી ભારતની હાર નિશ્ચિત બનાવી દીધી હતી. ટ્રેવિસ હેડએ અણીના સમયે ૧૨૦ બૉલમાં ૧૩૭ રન બનાવીને ભારતીય ટીમની લડતની ધાર બુઠ્ઠી બનાવી દીધી હતી. આજે દશેરાના દિવસે જ ભારતનો ઘોડો દોડ્યો નહોતો.

કચ્છની શેરીઓ- માર્ગો પર વ્યાપ્યો સૂનકાર

રવિવારની રજા સાથે ફાઈનલ મેચ હોઈ આજે કચ્છભરમાં ક્રિકેટ પ્રેમીઓ બપોરથી જ ટીવી સેટ્સ સામે ગોઠવાઈ ગયાં હતાં. વર્લ્ડ કપની એકપણ મેચ ભારત હાર્યું ના હોઈ અને મેન ઈન બ્લ્યૂ જોરદાર ફોર્મમાં હોઈ સૌ કોઈને ભારતની ભવ્ય જીતની મજબૂત આશા હતી પરંતુ ઑસ્ટ્રેલિયન બેટસમેનના શાનદાર પરફોર્મન્સે કરોડો ભારતીયોની આશાને નિરાશામાં ફેરવી દીધી છે. મેચના પગલે માર્ગો પર ટ્રાફિક નહિવત્ થઈ ગયો હતો. ધમધમતી શેરીઓઓ પણ સૂની થઈ ગઈ હતી. ક્રિકેટ પ્રેમીઓએ દિવાળીના ફટાકડાં સાથે ભારતની જીતની ઉજવણીનું આગોતરું આયોજન કરી વધારાના ફટાકડાં ફોડી બીજી દિવાળી મનાવવા આયોજન કરેલું પરંતુ પરાજયે સૌના ચહેરાં ઉદાસ કરી દીધાં છે.ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ત્રણ વિકેટ ગૂમાવી ત્યારે દર વિકેટ વખતે અનેક લોકોએ ફટાકડાં ફોડ્યાં હતાં પરંતુ પછી છેક સુધી ફટાકડાં ફોડવાનો વારો આવ્યો નહોતો. પરાજય સાથે જ વોટસએપ ગૃપમાં વિવિધ મેસેજીસનો મારો શરૂ થયો છે.

 જીતની આગાહી કરનારાં જ્યોતિષીઓનો કરાશે વિરોધ

રાજકોટની જન વિજ્ઞાન જાથા સંસ્થાએ ભારતની જીતની આગાહી કરનારાં ગુજરાતભરના જ્યોતિષીઓના ઘેર સૂત્રોચ્ચાર કરવાનું નક્કી કર્યું છે. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે ભારતની હારના પગલે ભારતભરના જ્યોતિષીઓના ફળકથનોનો ફિયાસ્કો થયો છે. આ જ્યોતિષીઓએ કયા આધારે ભારતની જીતની આગાહીઓ કરેલી તે જાહેર કરી લોકોની માફી માંગવી જોઈએ. ફાઈનલ મેચમાં ભારત જીતશે તેવી જાહેરાતો કરનારાં જ્યોતિષીઓના ઘરે વિજ્ઞાન જાથા સૂત્રોચાર સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. આ મુદ્દે આવતીકાલે સોમવારે સંસ્થાની એક બેઠક બોલાવાઈ છે અને શરૂઆત રાજકોટના જ્યોતિષીઓના ઘરે સૂત્રોચ્ચાર કરવાથી કરવા નક્કી કરાયું છે.

Share it on
   

Recent News  
મુંદરાની કિશોરીને ધાણેટીના પરિણિત યુવકે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
 
ભચાઉઃ કંથકોટમાં ગોગા મહારાજના મંદિરોમાંથી ૩૦૧ નાગફણી અને ૩૬ છત્તર ચોરાતાં ચકચાર
 
મિથેનોલ ખાલી કરીને જતું જહાજ ભેદી ધડાકા બાદ દરિયામાં એકબાજુ નમી ગયું