ભુજથી મુંબઈને જોડતી AIની ડેઈલી ફ્લાઈટ શરૂઃ પ્રથમ દિવસે જ લંડનના ૩૦ પ્રવાસી મળ્યા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજથી મુંબઈને જોડતી વધુ એક ડેઈલી ફ્લાઈટનો આજથી શુભારંભ થતાં કચ્છીમાડુઓમાં આનંદ પ્રસર્યો છે. મુંબઈથી ૧૨૨ પેસેન્જરને લઈ ભુજ એરપોર્ટ પર લેન્ડ થયેલી ઍર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટનું વૉટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Video :
વળતી ફ્લાઈટમાં ભુજથી ૧૧૩ પેસેન્જર મુંબઈ ગયાં હતાં. અત્યારસુધી ભુજથી મુંબઈને જોડતી દૈનિક અલાયન્સ ઍરની એક જ ફ્લાઈટ ઉપલબ્ધ હતી. ૭૦ જણની બેઠક ક્ષમતાવાળી આ ફ્લાઈટ મોટાભાગે ઓવરબૂક્ડ રહેતી હતી.
ખાસ કરીને, પીક સીઝનમાં ડાયનેમિક ફૅર સિસ્ટમના લીધે પ્રવાસીઓને કમ્મરતોડ ભાડું ચૂકવવાની નોબત આવતી હતી. ઍર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં ૮ બિઝનેસ ક્લાસ અને ૧૪ ઈકોનોમી ક્લાસની બેઠકોની સુવિધા ઉપલબ્ધ છે.
કનેક્ટીંગ ફ્લાઈટ માટે લગેજ ક્લિયરન્સ ટ્રાન્સફરની ઝંઝટ દૂર
ઍર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ શરૂ થતાં પ્રવાસીઓને કમ્મરતોડ ભાડા ચૂકવવામાંથી મોટી રાહત મળશે. એરપોર્ટ ઑથોરીટીના ડિરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું કે સૌથી સારી બાબત એ છે કે જે પ્રવાસીઓ ભુજથી જ ઍર ઈન્ડિયાની કનેક્ટીંગ ફ્લાઈટમાં લંડન, દુબઈ, મસ્કત કે ઓમાન જવા ઈચ્છતાં હોય તેમને લગેજ ટ્રાન્સફર અને ક્લિયરન્સની ઝંઝટ નહીં રહે. ભુજમાં લગેજ લોડ કર્યાં બાદ તેમણે મુંબઈ એરપોર્ટ પર ઉતરીને ફક્ત ઈમિગ્રેશનની પ્રોસિજર પૂર્ણ કરવાની રહેશે. અત્યારસુધી એવું હતું કે પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થાય ત્યારબાદ લગેજ લઈને ફરી કનેક્ટીંગ ફ્લાઈટમાં લોડ કરે તેમાં બિનજરૂરી એકથી દોઢ કલાક સુધીનો સમય વેડફાતો હતો. સોનામાં સુગંધ ભળે તેવી બાબત એ પણ છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ઍર ઈન્ડિયા ૪૦ કિલોગ્રામ સુધીનો લગેજ લઈ જવા દે છે. જ્યારે અન્ય ઈન્ટરનેશલ ફ્લાઈટમાં લગેજની મર્યાદા નક્કી કરેલી છે.
પહેલાં દિવસે જ ૩૦ લંડનના પ્રવાસી મળ્યાં
મુંબઈ સાથે કચ્છનો અતૂટ નાતો છે. એ જ રીતે, યુકે, યુએસ, મીડલ ઈસ્ટ અને આફ્રિકન દેશોમાં પણ અસંખ્ય એનઆરઆઈઝ વસવાટ કરે છે. ત્યારે, ભુજ મુંબઈ વચ્ચેની આ ફ્લાઈટને પ્રવાસીઓનો પૂરતો લોડ મળી રહેવાની આશા છે. આજે પ્રથમ દિવસે જ ઍર ઈન્ડિયાને ભુજથી લંડન જનારાં ૩૦ પ્રવાસી મળ્યાં છે. હજુ રાત્રે મીડલ ઈસ્ટને સાંકળતી ફ્લાઈટમાં પણ કેટલાંક પ્રવાસી જાય તેવી શક્યતા છે. પ્રવાસીઓ ભુજથી ઍર ઈન્ડિયાની કનેક્ટીંગ ફ્લાઈટની ટિકિટ અને બૉર્ડિંગ પાસ મેળવી શકશે.
કચ્છથી મુંબઈને જોડતી કુલ ત્રણ ફ્લાઈટ
ઍર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે કચ્છ મુંબઈ વચ્ચે ઉડતી ફ્લાઈટની સંખ્યા ત્રણ પર પહોંચી છે. એક ફ્લાઈટ દિલ્હીથી કંડલા વાયા મુંબઈ વચ્ચે ઉપલબ્ધ છે.