કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના વેપાર ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઑફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને કચ્છની હવાઈ સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવા માટે એરપોર્ટ ઑથોરીટી ઑફ ઈન્ડિયા સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ રજૂઆતો કરી છે. ફોકિઆએ કંડલા ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ભુજ એરપોર્ટ ખાતે નવી ફ્લાઈટ શરૂ કરવા સંદર્ભે એરપોર્ટ ઑથોરીટીના ચેરમેન સંજીવકુમાર સહિત મહત્વના અધિકારીઓ સાથે યોજેલી બેઠક સકારાત્મક રહી છે. વર્તમાન કંડલા એરપોર્ટનું વિસ્તરણ કરવાની અગાઉ થયેલી રજૂઆત મુદ્દે એરપોર્ટ ઑથોરીટીએ સ્પષ્ટ કહ્યું કે વિસ્તરણ શક્ય નથી. બલ્કે, કચ્છમાં જંગી ઔદ્યોગિક રોકાણને જોતાં આગામી પચાસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવું જ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની જરૂર છે. જો નવા એરપોર્ટના નિર્માણ માટે જમીન ઉપલબ્ધ થાય તો ઑથોરીટીએ નવું એરપોર્ટ નિર્માણ કરવાની તૈયારી દર્શાવી છે.
ફોકિઆએ દિનદયાળ કંડલા પોર્ટ નવા એરપોર્ટ માટે ટોકન લીઝ પર જમીન ફાળવવા તત્પર હોવાનું જણાવીને એરપોર્ટ ઑથોરીટીની ટેકનિકલ ટીમને પોર્ટ ઑથોરીટીએ સૂચવેલ લેન્ડ પાર્સલની શક્યતા તપાસવા સૂચન કર્યું છે.
બેઠકમાં ફોકિઆએ ભુજથી નવી એર કનેક્ટિવીટી શરૂ કરવા રજૂઆત કરી હતી. તે માટે અપૂરતાં સ્ટાફ સહિતની બાબતો પરત્વે ધ્યાન દોરી ઈન્ડિગો નવી ફ્લાઈટ શરૂ કરવા ઈચ્છુક હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ફોકિઆ વતી એમ.ડી. નિમિષ ફડકે, ભાવેન ઠકકર અને અરૂણેશ ચતુર્વેદી વગેરે જોડાયા હતા.
બે વર્ષમાં બમણાં ચાર્ટર પ્લેન આવ્યાં
ફોકિઆએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ચાર્ટર ફ્લાઈટ્સના ઓપરેશનની કામગીરી બમણી થઈ છે અને આ માટે કંડલા તથા ભુજ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને CISF સ્ટાફની પણ જરૂર છે.
ટૂંક સમયમાં ભુજ એરપોર્ટથી કાર્ગો મૂવમેન્ટ શરૂ થવાની આશા
ફોકિઆએ ઔદ્યોગિક, બાગાયત, કૃષિ અને હસ્તકલા સેગમેન્ટની જરૂરિયાત તથા સંપૂર્ણ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ ચેઇનને પૂર્ણ કરવા માટે ભુજ એરપોર્ટથી કાર્ગો સેવા શરૂ કરવા રજૂઆત કરી હતી. આ સાથે કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવે તો દર વર્ષે દોઢ કરોડના મૂલ્યના કાર્ગોની મૂવમેન્ટ થવાની ગેરન્ટી આપી હતી. ફોકિઆએ ગેરન્ટી આપવાની તત્પરતા દર્શાવતાં એરપોર્ટ ઑથોરીટીએ ભુજ એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલના નિર્માણની તૈયારી દર્શાવી હતી. ચેરમેનના સૂચન પર ફોકિઆએ એરપોર્ટ ઓથોરિટી કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસ લિમિટેડના સી.ઈ.ઓ અજય કુમાર સાથે ભુજથી એર કાર્ગો સેવાઓ શરૂ કરવા અંગે પણ ગહન ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભુજ એરપોર્ટને વર્તમાન એર ઈન્ડિયા ફ્લાઈટમાં કાર્ગો હેન્ડલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કાર્ગો હેન્ડલિંગ માટે એરલાઇન્સ દ્વારા અલાયદો સ્ટાફ ન હોવાને કારણે કામગીરી નહોતી થઇ શકતી. હવે એરલાઇન્સ સ્ટાફને તૈનાત કરી રહી છે, જે આગામી મહિના અથવા તે પહેલાં કામગીરીને સક્ષમ કરશે. તેમણે બાર મહિના સુધી કાર્ગો હેન્ડલિંગ ડેટા પર દેખરેખ રાખવા અને તેના આધારે કાર્ગો ટર્મિનલ માટે આગળ વધવાનું સૂચન કર્યું હતું.
નવા વિમાનો આવશે, નવી સેવા મળશે
ફોકિઆએ કંડલા અને ભુજથી વધુ ફ્લાઇટ ઓપરેશન્સ શરૂ કરવા માટે સિવિલ એવિએશનના ડિરેક્ટર સંખેશ મહેતા સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે એરલાઇન્સના અધિકારીઓ સાથે વાત કરી અને મૂલ્યાંકન કર્યું કે એરક્રાફ્ટની અછત એ મુખ્ય અવરોધ છે, આગામી છ-બાર મહિનામાં વધુ એરક્રાફ્ટની ઉપલબ્ધતા શક્ય બનશે અને આનાથી એરલાઇન્સ ભુજ/કંડલાથી વધુ કામગીરી શરૂ કરી શકશે. જો જરૂરી હોય તો, ફોકિઆએ યોગ્ય સ્લોટ ફાળવવા માટે GMR એરપોર્ટ ઓપરેટર, દિલ્હી અને અદાણી, મુંબઈ એરપોર્ટ ઓપરેટર સમક્ષ એરલાઇન્સ સાથે રહીને ચર્ચા કરાવી જોઈએ.
Share it on
|