|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના વોંધ પાસે અરિહંત સોલ્ટ કંપની પાસે આવેલી એક ઓરડીમાં ભેદી સંજોગોમાં આગ ફાટી નીકળતા ૭ વર્ષનું બાળક જીવતું ભડથું થઈ ગયું છે. બાળકના માતા પિતા ગંભીર રીતે દાઝી ગયાં છે અને હાલ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે છે. બનાવની તપાસ કરી રહેલા ભચાઉના પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.બી. તરારે જણાવ્યું કે ‘હોસ્પિટલમાંથી પોલીસને એમ કહીને જાણ કરાયેલી કે ઝૂંપડીમાં ગેસનો બાટલો ફાટવાથી લાગેલી આગમાં બાળકનું મોત થયું છે અને તેના માતા પિતા દાઝી ગયાં છે’ ‘શુક્રવારે રાત્રે આઠથી સાડા આઠના અરસામાં દુર્ઘટના ઘટી હતી. અમે સ્થળ પર જઈને જોયું તો પાકી દિવાલો અને સિમેન્ટના પતરાંવાળી બે ઓરડીઓ પૈકી એક ઓરડીમાં આ બનાવ બન્યો હતો. ઓરડીમાં આગ લાગી હતી પરંતુ ગેસનો સિલિન્ડર અકબંધ હતો’
માતા પિતા ગંભીર, અન્ય ત્રણ સંતાનોનો આબાદ બચાવ
જેનું મૃત્યુ થયું છે તે બાળકનું નામ આર્યન છે. આર્યનના પિતા નવઘણ મફાભાઈ કોલી (ઉ.વ. ૪૫) અને તેની માતા બેઉ ગંભીર રીતે દાઝી ગયાં છે. ભુજ જી.કે. જનરલમાં બેહોશ હાલતમાં બેઉ સારવાર હેઠળ છે. સદભાગ્યે બાજુની ઓરડીમાં દસ વર્ષની દીકરી સહિતના ત્રણ સંતાનો હતા તે બચી ગયાં છે.
ઓરડીમાં કેવી રીતે આગ લાગી તે એક રહસ્ય
ઓરડીમાં ખરેખર કેવી રીતે આગ લાગી તે રહસ્ય છે. ભચાઉ પીઆઈ અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું કે ઓરડીમાંથી કેરોસીનનું એક ડબલું પણ મળી આવ્યું છે. ઘટનાના કોઈ પ્રત્યક્ષદર્શી નથી. અમારી સઘન તપાસ ચાલુ છે. ભોગ બનનાર પરિવાર મૂળ સુરેન્દ્રનગરના પાટડીનો છે અને આસપાસમાં મજૂરી કરી પેટિયું રળી ખાય છે.
Share it on
|