|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપરની ૧૭ વર્ષિય કિશોરીના ગેરકાયદે ધર્મ પરિવર્તન અને નિકાહ કબૂલ કરાવવાના ગુનામાં પકડાયેલાં અજમેરના ઈમામે ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભચાઉ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપી મૌલાના મોહમ્મદ રમઝાન જાનમોહમ્મદ (ઉ.વ. ૩૪)ને ગત ૧૭ જૂનનાં રોજ રાપર પોલીસે અજમેરથી લઈ આવી વિધિવત્ ધરપકડ કરી હતી. રાપરનો જાહિન અબ્દુલ ચૌહાણ (ઉ.વ. ૨૭) કિશોરી પર હુમલો કરી, તેના સંબંધીને મારી નાખવાની ધમકી આપીને અપહરણ કરીને અજમેર લઈ ગયેલો.
પોલીસનો આરોપ છે કે ગરીબ નવાઝ દરગાહના ઈમામ/કાઝી એવા મોહમ્મદ રમઝાને કિશોરીની ઊંમર વિશે કોઈ જ તપાસ કે પૂછપરછ કર્યાં વગર ‘સકીના’ નામથી નિકાહ કબૂલ કરાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ નિકાહ નોંધણીનું પ્રમાણપત્ર આપેલું.
તપાસમાં બહાર આવેલું કે ગુનો બન્યો તે અગાઉથી આરોપી જાહિન લાંબા સમયથી કિશોરી જોડે ધાક ધમકી કરી તેનું શારીરિક શોષણ કરતો રહેલો. રાપર પોલીસે ૧૨-૦૬-૨૦૨૬ના રોજ જાહિન સામે BNS અને પોક્સો એક્ટ તળે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરેલી. પૂછપરછમાં તેણે ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કર્યાં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે બાળ લગ્ન પ્રતિબંધક એક્ટ અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) એક્ટની કલમોનો ઉમેરો કરેલો. કૉર્ટે આરોપી મૌલાનાએ અગાઉ કરેલી નિયમિત જામીન અરજી ફગાવી દીધેલી.
કેવળ ચાર્જશીટ દાખલ થવા માત્રથી કેસના સંજોગોમાં પરિવર્તન થયું હોવાનું માની ના લેવાય તેમ જણાવી સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ અરજી ફગાવી દેવા રજૂઆત કરી હતી.
આવા ગંભીર ગુનાના આરોપીને જામીન પર છોડવાથી સમાજમાં ખોટા સંદેશ જશે તથા અન્યો આવા ગુના કરવા પ્રેરાશે તેમ પણ જાડેજાએ ઉમેરેલું. સરકારી વકીલની દલીલો, પોલીસ તપાસના કાગળિયા, ગુનાની ગંભીરતા વગેરે અનુલક્ષીને ભચાઉના બીજા અધિક સેશન્સ જજ ભરત ચૌઈથાણીએ અરજી ફગાવી દીધી છે.
Share it on
|