|
કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના એસટી ડેપો પાસે આવેલી એક જર્જરિત ઈમારતનો કઠેડો આજે સવારે ૧૧ના અરસામાં અચાનક તૂટીને નીચે રોડ પર પાર્ક થયેલાં વાહનો પર પડતાં દોડધામ મચી ગઈ હતી. આ ઈમારત ભૂકંપ પૂર્વે નિર્માણ પામેલી છે અને ૨૦૦૧ના ભૂકંપ બાદ અઢી દાયકાથી જર્જરિત હાલતમાં મોતનો માંચડો બનીને ઊભી છે. જર્જરિત ઈમારતમાં હોસ્પિટલ સહિત આઠથી દસ દુકાનો ધમધમી રહી છે. જર્જરિત છજ્જાના થોડાંક હિસ્સા સાથે તૂટી પડેલી લોખંડની વજનદાર રેલિંગ પડવાના લીધે પાર્ક વાહનોને થોડું ઘણું નુકસાન થયું છે.
સદભાગ્યે અહીંથી પસાર થતાં રાહદારીઓનો આબાદ બચાવ થયો છે.
ઘટનાની જાણ થતાં નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. ૨૦૦૧ના ગોઝારા ભૂકંપ બાદ ભુજ, ગાંધીધામ, રાપર વગેરે શહેરોમાં પડું પડું થવાના આરે રહેલી અનેક જર્જરિત ઈમારતો આજે અઢી દાયકે પણ યથાવત છે. ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયાં, અનેક કલેક્ટરો અને પાલિકાના ચીફ ઑફિસરો આવ્યાં અને ગયાં પરંતુ અનિર્ણાયક સરકાર તથા તંત્રો આ જર્જરિત ઈમારતોનો કોઈ ઉકેલ શોધી શક્યા નથી.
લાગે છે કે ‘રાંડ્યા પછી ડહાપણ આવશે’
Share it on
|