કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરના પ્રાગપર નજીક મોટર સાયકલ અને મારુતિ અલ્ટો કાર વચ્ચે સર્જાયેલી સામસામી ટક્કરમાં રાજગોર યુગલનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું છે. આજે બપોરે બાર વાગ્યાના અરસામાં પ્રાગપરથી બે કિલોમીટર આગળ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ મરણ જનાર પરસોત્તમભાઈ ગંગારામભાઈ મસુરીયા અને તેમના પત્ની નવલબેન (બેઉની ઉંમર ૪૭, રહે. એકતાનગર, રાપર) સંબંધીને મળવા બાઈક પર આડેસર તરફ જઈ રહ્યાં હતા.
સામેથી પૂરઝડપે આવી રહેલી કાર સાથે બાઈકની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ કાર અને બાઈક બેઉના ફુરચાં ઉડી ગયાં હતા. ગંભીર ઈજાના પગલે મસુરીયા યુગલનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
દુર્ઘટનામાં કારચાલકને પણ ગંભીર ઈજા થઈ હોવાનું મનાય છે. જો કે, પોલીસને તે અંગે હજુ કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી.
દુર્ઘટનાના પગલે રાજગોર સમાજના આગેવાનો રાપરની સરકારી હોસ્પિટલમાં દોડી ગયાં હતા. અકસ્માતના આ બનાવે રાપર સહિત કચ્છમાં અરેરાટી સર્જી છે.
Share it on
|