|
કચ્છખબરડૉટકોમ, ખાવડાઃ ભુજ તાલુકાના સરહદી હોડકો ગામ નજીક નથુવાણી વાંઢમાં રહેતા ૨૩ વર્ષિય ઈસ્માઈલ ઈબ્રાહિમ હાલેપોત્રાની હત્યા કરાયેલી લાશ ગામના સીમાડે બાવળોની ઝાડીમાંથી મળી આવતા ચકચાર પ્રસરી ગઈ છે. હત્યા અંગે નજીકની રાજવાણી વાંઢમાં રહેતાં પાંચ ઈસમો પર શંકા દર્શાવાઈ છે. રવિવાર રાત્રિથી ઈસ્માઈલ ગુમ થઈ ગયેલો
મરણ જનાર ઈસ્માઈલ રવિવાર રાત્રે સાડા નવ વાગ્યાથી ગુમ થઈ ગયો હતો. તેનો મોબાઈલ પણ સ્વિચ્ડ ઑફ્ફ થઈ ગયેલો. સોમવાર પરોઢ સુધી પરત ના ફરતાં પરિવારજનો અને સગાં સંબંધીઓએ સીમાડામાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, આજે મંગળવારે પરોઢે ચાર વાગ્યે હોડકોની સીમમાં ઉધમા કડો તરીકે ઓળખાતી જગ્યા નજીક બાવળની ઝાડીઓમાં જમીન પર પડેલી હાલતમાં લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.
ઈસ્માઈલના ગળા પર ડાબી બાજુ તીક્ષ્ણ હથિયારથી મોટો ઘા કરાયો હોવાનું નિશાન જોવા મળ્યું હતું.
ઈસ્માઈલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. પોલીસે સ્થળ પર દોડી જઈને પંચનામું, ઈન્ક્વેસ્ટ ભરવાની કામગીરી ધરી હતી.
પાંચ લોકો સામે હત્યાની આશંકા દર્શાવાઈ
ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ ઈશાભાઈ અમીનભાઈ ભચુભાઈ હાલેપોત્રાએ રાજવાણી વાંઢમાં રહેતા અબ્દુલ્લા હૈદર હાલેપોત્રા, હનીફ અબ્દુલ્લા હાલેપોત્રા, મુસ્તાક અબ્દુલ્લા હાલેપોત્રા, ખાનુ મામદ હાલેપોત્રા અને ઈશા કાદુ હાલેપોત્રા સામે નામજોગ શંકા દર્શાવતા પોલીસે ફરિયાદમાં પાંચે જણના નામ શકમંદ તરીકે લખીને કયા કારણે હત્યા કરવામાં આવી તે સહિતની બાબતો અંગે ગહન તપાસ હાથ ધરી છે.
ધોરડોના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર મૃગેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.
Share it on
|