|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ઉદ્યોગપતિના ૨.૯૩ કરોડ રૂપિયા હજમ કરી જઈને સંબંધીએ જ વિશ્વાસઘાત કર્યો હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના સેક્ટર ૪ની ઓસ્લો સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષિય પ્રણવ નરસિંગ અગ્રવાલે વિશ્વાસઘાત બદલ હૈદ્રાબાદ રહેતા રામરતન અગ્રવાલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે પડાણામાં યુરિયા ઉત્પાદનનો પ્લાન્ટ ધરાવે છે.
૨૦૧૫માં ફરિયાદીના કાકાની દીકરીના હૈદ્રાબાદ રહેતા રામઆનંદ અગ્રવાલ સાથે લગ્ન થયેલા ત્યારથી તે રામઆનંદના કાકાના પુત્ર રામરતન અગ્રવાલ જોડે પરિચયમાં આવેલા.
હૈદ્રાબાદના પૉશ એરિયા બનજારા હિલ્સમાં રહેતો રામરતન ગ્લૉબલ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ નામની પેઢી મારફતે આયાત નિકાસનો બિઝનેસ કરતો હોઈ પરિચય વધુ પ્રગાઢ થયો હતો. ફરિયાદીને પોતાની યુરિયા ફેક્ટરી માટે વિદેશથી ૨૩ ડીઈએફ મશિન (યુરિયા પ્રોડક્શન મશિન) મગાવવાના હતા. રામરતને આ મશિન આયાત કરી ફરિયાદીને ડિલિવરી આપવાનું જણાવેલું.
જેથી ફરિયાદીએ તેને ઓર્ડર આપીને ૧૧-૦૧-૨૦૨૪ ૧૨-૦૨-૨૦૨૪ના એક માસના ગાળા દરમિયાન રામરતનની પેઢીના બેન્ક એકાઉન્ટમાં પોતાના બેન્ક ખાતા મારફતે ૭.૫૦ કરોડ જમા કરાવ્યા હતા.
રૂપિયા મળ્યા બાદ રામરતને હાલ મશિન મળી શકે તેમ નથી કહીને રૂપિયા પરત આપી દેવાનું વચન આપેલું. ૧૮-૦૩-૨૦૨૪થી ૧૯-૦૫-૨૦૨૫ના લગભગ દસ મહિનાના સમયગાળામાં રામરતને ટૂકડે ટૂકડે ૪ કરોડ ૫૬ લાખ ૯૫ હજાર રૂપિયા જમા કરાવેલાં.
બાકી આપવાના થતા ૨.૯૩ કરોડ રૂપિયાના મૂલ્યના ૮ મશિન ઇજિપ્તથી એક્સપોર્ટ કરી ડિલિવરી આપવાનું કહેલું.
પરંતુ, આજ દિન સુધી તેણે ના મશિન આપ્યા છે, ના બાકી નીકળતા રૂપિયા.
ફરિયાદીના ભાઈને પણ ૧૫ કરોડનો ચૂનો ચોપડ્યો
ફરિયાદીનો ભાઈ જતિન અગ્રવાલ મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બે મહિના અગાઉ એપ્રિલમાં જતિને રામરતન જોડે વેપાર માટેનો સોદો કરીને ૧૫ કરોડ રૂપિયા આપ્યા હતા. તેની સામે રામરતને ૩૦ ચેક આપેલાં. આ તમામ ચેક બેન્કમાંથી બાઉન્સ થયાં છે.
Share it on
|