|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ આદિપુરમાં રહીને માતાના નામે એટ ઈન્ટરનેશનલ નામની એક્સપોર્ટ પેઢી ચલાવતો પંજાબી શખ્સે મિત્રો પરિચિતો પાસેથી ૫૩ લાખ ૮૫ હજાર રૂપિયા ઉછીના મેળવીને ‘ટોપી’ પહેરાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આદિપુરના ન્યૂ સિંધુનગરમાં રહેતા અને રીશી કિરણ લોજિસ્ટિક્સ નામની કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કાર્યરત ૫૧ વર્ષિય કનૈયાલાલ ખૂબચંદ પર્ચવાણીએ મનેન્દ્રસિંહ સોહનસિંહ મિન્હાસ સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ઠગાઈ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ‘ભવિષ્યમાં આપણે સાથે ધંધો કરશું, વિશ્વાસ રાખો’ કહીને દોઢેક વર્ષ અગાઉ મનેન્દ્રસિંહે બિઝનેસ અર્થે ઉછીના સાડા ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા. ફરિયાદીએ ભરોસો કરીને ચેકથી તે નાણાં મનેન્દ્રસિંહની પેઢીના બેન્ક ખાતામાં જમા કરાવેલાં. આ રીતે ટુકડે ટુકડે ફરિયાદીએ તેના બેન્ક ખાતામાં ૪૧ લાખ ૧ હજાર રૂપિયા જમા કરાવ્યાં હતા.
ખાતરી કરવા માટે ફરિયાદીએ ઉછીના આપેલા નાણાં અંગે નોટરી લખાણ પણ લખાવડાવેલું અને તેમાં મનેન્દ્રસિંહની બહેને સાક્ષી તરીકે સહી કરેલી. બાદમાં મનેન્દ્રસિંહે રૂપિયા પરત આપવાના બદલે વાયદાબાજી શરૂ કરેલી.
દરમિયાન, ફરિયાદીને જાણ થયેલી કે મનેન્દ્રસિંહે આ રીતે જૈનિત ઘનશ્યામ ઠક્કર પાસેથી ૭.૯૪ લાખ, હાર્દિક નાગડા પાસેથી ૨.૬૦ લાખ અને ગુલાબ ટી. લાલવાણી પાસેથી ૨.૩૦ લાખ રૂપિયા મેળવીને તેમને પણ ટોપી પહેરાવી હોવાની જાણ થયેલી. તમામે સાથે મળીને રજૂઆત કર્યાં બાદ પોલીસે મનેન્દ્રસિંહ અને તેની માતા ગુરમીત કૌર વિરુધ્ધ કુલ ૫૩ લાખ ૮૫ હજાર ૮૨૯ રૂપિયા મેળવીને ફરિયાદી અને સાક્ષીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યા અંગે ફરિયાદ નોંધી છે.
Share it on
|