|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દારૂડિયા પતિની સતત મારકૂટના લીધે ૧૯ વર્ષિય પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મરણ જનાર યુવતીએ ત્રણ વર્ષ અગાઉ પોતાની મરજીથી પ્રેમલગ્ન કરેલાં. બે વર્ષથી પતિ દારૂ પીને સતત મારકૂટ કરતો હોઈ યુવતીએ પોતાની પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના હોવાનું પરિવારને જણાવ્યું હતું. મંગળવારે બપોરે ભુજ તાલુકાના ચપરેડી ગામે મુળજી ગોપાલની વાડીમાં ખેતમજૂરી કરતા ગણપત સનાભાઈ ભુરીયાની પત્ની કિરણે ખેતરમાં પીપળીના ઝાડ પર ઓઢણીથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવના ત્રણેક કલાક અગાઉ ગણપતે મમુઆરા ગામે ખેતમજૂરી કરતા સાળા બ્રિજેશ ડામોરને ફોન કરીને જણાવેલું કે ‘રવિવારે હું તમને મારા મામા મુકેશ મકવાણાની મોટર સાયકલ લઈને ચપરેડીથી કુકમા લેવા આવેલો તે સમયે મોટર સાયકલથી પડી ગયેલો, જેમાં મોટર સાયકલને નુકસાન થયેલું. આ મુદ્દે કિરણ મારી જોડે ઝઘડો કરી રહી છે’
બ્રિજેશે ગણપતને કિરણ જોડે વાત કરાવવા કહેલું પરંતુ તે સમયે દંપતી વચ્ચે બોલાચાલી વધી ગયેલી અને ફોન કટ થઈ ગયેલો. ત્યારબાદ સાંજે સાત વાગ્યે ગણપતે બ્રિજેશને ફોન કરીને કિરણે આપઘાત કરી લીધો હોવાની જાણ કરેલી.
બે વર્ષથી દારુડિયો પતિ પત્નીને મારકૂટ કરતો હતો
બ્રિજેશે પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગણપત વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પ્રેમલગ્ન કર્યાં હોઈ બહેન કિરણ પતિના ત્રાસ અંગે અમને વધુ કાંઈ જણાવતી નહોતી. છેલ્લાં બે વર્ષથી ગણપત દારૂ પીને તેની મારકૂટ કરતો રહેતો હતો. એકાદ વર્ષ અગાઉ કિરણ ઓરમાન માતા અને ભાઈને મળવા મમુઆરાની વાડીએ આવેલી ત્યારે તેણે ગણપતની મારકૂટ અને ત્રાસ અંગે વાત કરતાં જણાવેલું કે ‘પ્રેમલગ્ન કરીને તેણે ભૂલ કરી છે, કંટાળીને મરી જઈશ’ તે સમયે બ્રિજેશે ચપરેડીની વાડીએ જઈને બનેવી ગણપતને મારકૂટ ના કરવા સમજાવેલો. પરંતુ, ગણપત સુધર્યો નહોતો.
Share it on
|