કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના માધાપરના સોની પરિવારની તૂફાન ટ્રેક્સ પધ્ધર નજીક બીકેટી કંપની પાસે પુલિયાની પાળી સાથે ટકરાતાં સર્જાયેલી દુર્ઘટનામાં વધુ એક મૃત્યુ સાથે કુલ મરણાંક ચાર પર પહોંચ્યો છે. આજે સવારે છ વાગ્યાના અરસામાં સુઝલોન અને બીકેટી કંપની વચ્ચે આવેલા કૉઝવે પર અકસ્માત સર્જાયો હતો. માધાપરનો સોની પરિવાર તૂફાન જીપથી દ્વારકા, સોમનાથ અને દિવમાં ફરવા ગયેલો.
આ પરિવાર દિવથી પરત માધાપર આવતો હતો ત્યારે રોડ પર કૂતરું આડું ઉતરતાં તેને બચાવવા જતાં જીપચાલક દિનેશભાઈ સુરેન્દ્રભાઈ સોનીએ અચાનક બ્રેક મારવા જતાં સ્ટિયરીંગ પરનું સંતુલન ગૂમાવી દીધું હતું અને જીપ કૉઝ વેની દિવાલમાં ઘૂસી ગઈ હતી.
ગંભીર ઈજાથી દિલીપ હરજીભાઈ સોની (૫૭), દિનેશભાઈ સુરેન્દ્રભાઈ સોની (૫૨) અને તેમના નાના ભાઈ મનોજ સુરેન્દ્રભાઈ સોની (૫૦)ના ગણતરીના સમયમાં મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે મનોજ સોનીના પત્ની ગીતાબેન (૪૬)એ પાછળથી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
અકસ્માતગ્રસ્ત પરિવાર માધાપર જૂનાવાસના બાપા દયાળુનગરમાં રહેતો હતો. પીઆઈ એચ.એમ. ગોહિલે જણાવ્યું કે હતભાગી દિનેશભાઈ સોની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં હતાં.
અન્ય સાત જણને હળવી ગંભીર ઈજાઓ
દુર્ઘટનામાં મનોજભાઈના પુત્ર કિશન (૨૦)ને માથામાં હેમરેજ થઈ ગયું છે. દિનેશભાઈના પત્ની અનિતાબેન (૩૮), બે પુત્રીઓ મહિમા (૨૦) અને ખુશી (૨૦), હતભાગી દિલીપભાઈના પત્ની અનિતાબેન (૫૩), પુત્ર હેત (૧૮) તથા લક્ષ્મીબેન સુરેશભાઈ સોની (૬૦)ને હાથ-પગે ફ્રેક્ચર સાથે માથામાં હળવી ગંભીર ઈજાઓ થઈ હતી. લક્ષ્મીબેનને કમરના મણકામાં ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલોને પ્રથમ જી.કે. જનરલ બાદ ભુજની ત્રણ અલગ અલગ સુપર સ્પેશિયલ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં.
કેરા નજીક થારની ટક્કરે યુવકનું મૃત્યુ
પધ્ધર નજીક માર્ગ અકસ્માતમાં સોની પરિવારના ચાર ચાર લોકોના અપમૃત્યુની ગોઝારી ઘટના વચ્ચે બપોરે બે વાગ્યાના અરસામાં કેરા નજીક થાર જીપે ટક્કર મારતાં બાઈક પર જઈ રહેલાં નારાણપરના ૨૨ વર્ષિય યુવકનું મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે. મરણ જનાર પાર્થ નાનાલાલ વ્યાસ મોટર સાયકલથી નોકરી જતો હતો ત્યારે GJ-19 BE-3070 નંબરની થાર જીપના ચાલકે તેને ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં તેણે દોઢ કલાકમાં પ્રાણ ગૂમાવ્યાં હતાં. બનાવ અંગે માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે.
updated @22:42
Share it on
|