કચ્છખબરડૉટકોમ, ભુજઃ આજે ભુજમાં લેક વ્યૂ હોટેલ પાસે જ્યાં કાર્નિવલ યોજાઈ રહ્યો છે તેની નજીક આવેલા જર્જરિત થઈ ગયેલાં ઐતિહાસિક કૃષ્ણાજી પુલને કોંગ્રેસે ભાજપની નિષ્ફળતાનો શિલાલેખ ગણાવ્યો છે. ‘મને ઢાંકવાની નહીં મને બનાવવાની જરૂર છે’ તેવા નારા સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્રણેક વર્ષ અગાઉ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં સર્જાયેલી હોનારતના પગલે ભુજ નગરપાલિકા દ્વારા જર્જરિત કૃષ્ણાજી પુલને બંધ કરવામાં આવ્યો હતો.
ભાજપશાસિત પાલિકાના શાસકો અવારનવાર પુલના નવનિર્માણની વાતો કરે છે પરંતુ ત્રણ વર્ષ વીત્યાં કશું થયું નથી. ભાજપ સરકાર અને પાલિકા દ્વારા સતત વિલંબ કરાતાં અહીંથી પસાર થતાં હજારો લોકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે પરંતુ ભાજપ સરકારે શરમને નેવે મૂકીને બિનજરૂરી રીતે પોતાની વાહવાહી કરવામાંથી જ ઊંચી નથી આવતી તેમ કોંગ્રેસે જણાવ્યું છે.
કોંગ્રેસે ‘નિષ્ફળતાનો શિલાલેખ’ ગણાવ્યો
કોંગ્રેસના શહેર પ્રમુખ કિશોરદાન ગઢવીના નેતૃત્વમાં કાર્યકરોએ બેનર પર પુલના નિર્માણ મુદ્દે ‘નિષ્ફળતાનો શિલાલેખ’ આલેખીને વિરોધ દર્શાવ્યો હતો. ગઢવીએ જણાવ્યું કે એકબાજુ રસ્તો બંધ હોવાના લીધે રોજ નાનાં મોટાં અકસ્માતના બનાવો બની રહ્યાં છે, સાંકળના લીધે વાહનો ઉપરાંત રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે. અત્યારે કાર્નિવલના આયોજન માટે એક સાઇડ રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાના લીધે છેલ્લાં ત્રણ ચાર દિવસથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે.
પોલીસ દર વખતની જેમ પ્રદર્શન વીખેરવા કૂદી પડી
કોંગ્રેસના વિરોધને નિષ્ફળ બનાવવા ભાજપ સરકારે પોલીસને તૈનાત કરી હતી પરંતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આક્રમક વિરોધ કરતાં પોલીસે પીછેહઠ કરી હતી. ત્યારબાદ બળપ્રયોગ કરીને આગેવાનોને ડીટેઈન કર્યાં હતાં. પોલીસની કાર્યવાહીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને રામદેવસિંહ જાડેજાએ વખોડીને હતું કે લોકોને પડતી હાલાકી માટે કોંગ્રેસે લડાઈ લડી છે, આ માટે પોલીસ કાર્યવાહી કરવાની જરૂર ન હતી. વિપક્ષના એક સામાન્ય વિરોધ કાર્યક્રમ સહન ના કરી શકતાં ભાજપના નેતાઓ જ્યારે બંધારણ હત્યા દિવસને મનાવતાં હોય છે ત્યારે તેમની કરણી અને કથનીમાં રહેલો ચોખ્ખો ભેદ વર્તાઈ આવે છે.
Share it on
|