|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સાતમી નવેમ્બર એટલે નેશનલ કેન્સર ડે. એક સમય હતો કે કોઈને કેન્સર થાય એટલે જાણે તેનું જીવન કેન્સલ થઈ ગયું હોય તેમ મનાતું. આધુનિક યુગમાં આજે અનેક દર્દીઓ કેન્સર સામેનો જંગ જીતીને સામાન્ય જીવન જીવી રહ્યાં છે. ૫થી ૧૦ ટકા જ આનુવાંશિક કેન્સર હોય છે, બાકીના લોકોને જીવનશૈલીના લીધે કેન્સર થાય છે. જો જીવનશૈલી સુધારાય તો ૩૫ ટકા કેન્સર નાથી શકાય છે. દેશમાં કેન્સરના ૮૦ ટકા દર્દીનો ઇલાજ ત્યારે શરૂ થાય જ્યારે કેન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચે છે. જી.કે.માં દસ માસમાં કેન્સરના ૮૦ ઓપરેશન થયાં
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગ અંતર્ગત કાર્યરત ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ વર્ષે છેલ્લાં દસ માસમાં જુદા જુદા કેન્સરની લગભગ ૮૦ જેટલી શસ્ત્રક્રિયા થઈ છે. ઓન્કો સર્જન ડૉ. હેત સોનીએ જણાવ્યું કે આ ઓપરેશનોમાં બ્રેસ્ટ કેન્સર, ગાયનેક, યુરો, ગેસ્ટ્રો વગેરે વિવિધ પ્રકારના અવયવોના ઓપરેશનનો સમાવેશ થાય છે. આજે અનેક પ્રયત્નો વચ્ચે પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદય રોગ પછી આ મોટી બીમારી છે. ભારતમાં દર વર્ષે સાડા ૭ લાખ લોકો કેન્સરથી મરણ પામે છે અને ૧૪ લાખ નવા ઉમેરાય છે.
કેન્સરના સામાન્ય લક્ષણો
ડૉ. સોનીએ જણાવ્યું કે શરીરમાં કોઈ ઘા કે ચાંદુ હોય અને લાંબા સમયથી રુઝ ના આવે, કશી જ બીમારી વગર વજન સતત ઘટ્યા કરે, થાક લાગે, ભૂખ ઓછી થઈ જાય, શરીરમાં જ્યાં સખત ગાંઠ હોય તેનો વિકાસ થાય, પેશાબ અને મળમાં સતત લોહી વહે, કશી દેખીતી બીમારી વિના સતત તાવ રહે, લોહીની કમી થાય વગેરે લક્ષણો કેન્સર થવાના ચિહ્ન છે.
આ પરિબળોથી કેન્સરનું જોખમ વધે છે
યુવાનોમાં કેન્સરનો ખતરો વધી રહ્યો છે. યુવાનો અને બાળકો ઘરનું બનાવેલું ખાવાના બદલે જંક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. તેથી સ્થૂળતા આજે મોટી સમસ્યા બની ગઈ છે. વિવિધ સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધુ દેખાઈ રહ્યું છે. ભારતમાં કેન્સરના દર પાંચ દર્દીમાંથી એક દર્દી ૪૯થી ઓછી ઊંમરનો હોવાનું જણાયું છે. સ્થૂળતા ઉપરાંત તણાવ પણ કેન્સર માટે જવાબદાર પરિબળ છે. વાયુ પ્રદૂષણ પણ કેન્સરગ્રસ્ત કરી શકે છે.
કેન્સરથી બચવા આટલું ધ્યાન રાખો
ખાન-પાનમાં ફાઇબરવાળો ખોરાક સામેલ કરવો. ખાંડ અને મીઠું ઓછું કરવું. ફળ અને શાકભાજીનું સેવન વધુ કરવું. ગ્રીન ટી, જાંબુ, ફુલાવરને ભોજનમાં સામેલ કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે. અઠવાડિયામાં દોઢસો મિનિટ કસરત, બ્રિસ્ક વૉકિંગ, યોગ, પ્રાણાયામથી સ્થૂળતા ઘટી શકે છે. જેથી લોહીનું પરિભ્રમણ અને હોર્મોન સંતુલન થાય તો કેન્સર ઘટાડી શકાય છે. દૈનિક જીવનમાં નાની નાની બાબતોનું ધ્યાન રખાય અને જાગૃત બની નિયમિત તપાસ કરાવાય તો પણ કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય.
Share it on
|