કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત અને દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. વ્યાપક છૂટછાટો સાથે તબક્કાવાર સિનેમા થિએટરો, શોપીંગ મોલ્સ ખોલવા મંજૂરી આપી દેવાઈ છે. પરંતુ શાળાઓ હજુ બંધ છે. ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓના બંધ દ્વાર ખોલવા વિચારણા ચાલી રહી છે. આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે કચ્છની વિવિધ શાળાના આચાર્ય, SMC સભ્યો, વાલીઓની એક ઓનલાઈન બેઠક યોજી તેમના મંતવ્યો જાણ્યા હતા. જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કચેરીના શિક્ષણાધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજીત બેઠકમાં 18 મહત્વના સૂચનોને અલગ તારવી પ્રાથમિક શિક્ષણ નિયામક અને માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી અપાયાં છે. બેઠકમાં થયેલાં સૂચનો આ મુજબ છેઃ
♦સૌપ્રથમ ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવી જોઈએ. તેમાં પણ 10 અને 12ના વર્ગોને પ્રાથમિક્તા આપવી જોઈએ
♦વર્ગદીઠ 20થી 25 વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવા જોઈએ
♦શાળાઓ કોવિડ-19નું સમગ્ર રીતે પાલન કરે તેવું સુનિશ્ચિત કરવું જોઈએ
♦શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વધુ એન્ટ્રી પોઈન્ટ રાખવા જોઈએ
♦શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રીસેસ રાખવી જોઈએ નહીં કારણ કે સંક્રમણ થવાની સંભાવના છે
♦વિદ્યાર્થીઓના વાલીનું શાળાએ મોકલવાનું સંમતિ પત્રક મેળવવું તેમજ બાળક સંક્રમિત નથી તેવું આરોગ્ય વિભાગનું પ્રમાણપત્ર જોવું
♦શાળામાં જો વર્ગો ચાલુ કરવામાં આવે તો ધોરણ 10-12ના મુખ્ય વિષયોના મુખ્ય ટોપિકની ચર્ચા સાથે અભ્યાસ કરાવવામાં આવે
♦બાળકને વાલી પોતે જ શાળાએ છોડી જાય તે ખાસ જોવું. અન્ય વાહનમાં બાળકને ના મોકલવા
♦વિદ્યાર્થી તેમજ સ્ટાફને સરકાર કે અન્ય સંસ્થાઓ તરફથી ઈમ્યુનિટી બુસ્ટર ડોઝ આપવા જોઈએ
♦શાળામાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ લાવેલી વસ્તુઓ જેવી કે નાસ્તો, પાણીની બોટલ વગેરેનો ઉપયોગ કરે તેમ થવું જોઈએ
♦શાળામાં ધોરણ મુજબ વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવા જોઈએ
♦જે શાળા છાત્રાલયની સુવિધા ધરાવે છે તેવી શાળાઓએ દરેક બાળકોને ટેસ્ટ કરાવ્યા બાદ જ છાત્રાલયમાં 50 ટકાની મર્યાદામાં પ્રવેશ આપવો જોઈએ
♦શહેરી વિસ્તાર કરતાં જે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સંક્રમણ ઓછું હોય ત્યાં શાળાઓ શરૂ કરવી જોઈએ. જ્યાં કન્ટેઈન્મેન્ટ ઝોન નથી તેવા શહેરી વિસ્તારોમાં પણ ત્વરીત શાળાઓ શરૂ કરી શકાય
♦શાળામાં ધોરણ મુજબ પાળી શરૂ કરી શકાય
♦ગ્રામ્ય વિસ્તારમાંથી જે બાળકો શહેરી વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરવા આવે છે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં જ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
♦શાળામાં જ્યારે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે ત્યારે ધોરણ અને વર્ગો મુજબ 1 કલાકનો ગેપ રાખીને વિદ્યાર્થીઓને બોલાવવા તેમજ રજા પણ તે મુજબ રાખવી જોઈએ
♦ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને નેટવર્ક પ્રોબ્લેમના કારણે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં મુશ્કેલી પડે છે તેથી તેવા વર્ગો સત્વરે ચાલુ કરવા જોઈએ
♦હાલની પરિસ્થિતિમાં જાહેર પરીક્ષાઓમાં જેવી રીતે સફળતા મળી તેવા આયોજન સાથે શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવું જોઈએ
♦શાળા દરરોજ સેનેટાઈઝ થાય તે માટે મંડળ અને આચાર્યોએ ખાસ તકેદારી રાખવી જોઈએ
♦શાળામાં દરરોજ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને સમજ તેમજ તે અંગેનું કાઉન્સેલીંગ કરવું જોઈએ
♦શાળા શરૂ કરતાં પહેલાં દરરોજ વાયરસને કેમ રોકી શકાય અથવા કેવી સાવચેતી રાખી શકાય તેવા બેનરો લગાવવા જોઈએ
♦જો શાળા શરૂ કરવામાં આવે તો શાળામાં હાથસફાઈ માટેની સુવિધા વધારવી જોઈએ
Share it on
|