કચ્છખબરડૉટકોમ, ભુજઃ વહીવટી નિયમોના દાવપેચમાં હેરાન થતો આમનાગરિક તેની ફરિયાદ સીધી મુખ્યમંત્રીને ઓનલાઈન રૂબરૂમાં કરે અને મુખ્યમંત્રી જ અધિકારીઓ સાથે પરામર્શ કરી તેનો નિવેડો લાવવા સૂચના આપે તે માટે ‘સ્વાગત’ કાર્યક્રમ ચાલે છે. જો કે, કચ્છમાં જવાબદાર વહીવટી અધિકારીઓ મુખ્યમંત્રીને પણ કેવા ઊઠાં ભણાવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચોપડા પર ફરિયાદનું નિવારણ કરી દેવાયાનું જાહેર કરાયું છે પરંતુ હકીકતે સમસ્યા ઠેરની ઠેર જ છે! ફૂલરા ડેમમાં ગેરકાયદે વીજલાઈન પસાર કરાઈ
સુપ્રીમ કૉર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના અનેક ચુકાદા છે કે નદી, નાળાં, ડેમ, સરોવર વગેરે જેવી વૉટર બૉડી આસપાસ અમુક મીટર છોડીને જ બાંધકામ કરી શકાય છે. છતાં કચ્છમાં ખાનગી પવનચક્કીઓ વૉટર બોડીમાં જ ધરાર થાંભલાઓ ખોડીને વીજ લાઈનો કે હેવી ટ્રાન્સમિશન લાઈનો પસાર કરી રહી છે.
લખપતની ફૂલરા નાની સિંચાઈ ડેમના બેઝિન, વેસ્ટ વિયર ઉપરથી, કેનાલની બાજુમાંથી તેમજ ડેમના માટીપાળા ઉપરથી ખાનગી કંપનીએ ૩૦ જેટલા વીજ પોલ નાખી ગેરકાયદેસર રીતે વીજલાઈન પસાર કરી છે.
આ અંગે ૨૧-૧૨-૨૦૨૨ના રોજ કાયલા જળસિંચન પેટા વિભાગ, નખત્રાણાના નાયબ કાર્યપાલક ઇજનેરે ખાનગી કંપનીને નોટિસ પાઠવી વીજ પોલ અને વીજ લાઈન તત્કાળ અસરથી દૂર કરવા તાકીદ કરેલી. એટલું જ નહીં, ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા એક્ટ હેઠળ આ ગુનાની સજા ૬ માસની કેદ અથવા ૧૦ હજાર રૂપિયા દંડ અથવા બંને થઈ શકે છે તેમ જણાવી કંપની સામે શિક્ષાત્મક પગલાં શા માટે ના લેવા તે બાબતે સાત દિવસમાં ખુલાસો આપવા હુકમ કરેલો.
નાયબ ઈજનેર નોટિસ પાઠવીને ભૂલી ગયો
ખાનગી વીજ કંપની નોટિસને ઘોળી પી ગઈ. નાયબ ઇજનેરને પણ જાણે પ્રસાદી મળી ગઈ હોય તેમ તેણે ફરી નોટિસ અન્વયે કરવાની થતી કશી કાર્યવાહી ના કરી.
ડેમમાંથી ગેરકાયદે પસાર કરાયેલી આ વીજ લાઈન ભવિષ્યમાં આસપાસની માનવ વસતિ અને પશુધન માટે ભીષણ હોનારત સર્જી શકે તેવી ભીતિ છે.
લખપતના અમિયા ગામના રતનસિંહ રાઠોડે વીજ લાઈન હટાવવા સંબંધિત સરકારી તંત્રોમાં લેખીત રજૂઆતો કરી પણ કોઈના પેટનું પાણી હલ્યું નહીં. કંટાળીને રાઠોડે જિલ્લાકક્ષાએ યોજાતા મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’માં ફરિયાદ કરી. ૨૪-૦૪-૨૦૨૫ના રોજ તેની ફરિયાદની સુનાવણી હાથ ધરાઈ.
ચાર દિવસ બાદ ૨૮-૦૪-૨૦૨૫ના રોજ જનસંપર્ક અધિકારી એચ.બી. વાડા અરજદારને જાણ કરે છે કે અમે નિયમોનુસાર કરવાપાત્ર કામગીરી પંદર દિવસમાં પૂરી કરવા કાર્યપાલક ઇજનેરને જણાવી દીધું છે અને આ રીતે તમારા પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરી દીધો છે.
અધિકારીઓ શું જનતાને ભોટ અને મુરખ માને છે?
ફરિયાદ અન્વયે પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ૨૦-૦૫-૨૦૨૫ના રોજ ના.કા.ઈ. (કાયલા જળસિંચન પેટા વિભાગ, નખત્રાણા)ને પત્ર પાઠવી જણાવે છે કે ‘લખપત મામલતદારને ૨૨-૦૫-૨૦૨૫ના રોજ આ વીજ થાંભલાઓ દૂર કરવા અત્રેથી સૂચનાઓ અપાઈ છે. તેથી તમારી કક્ષાએથી આ માટે જરૂરી પોલીસ બંદોબસ્ત, ટેકનિકલ સ્ટાફ, સાધન સામગ્રીની વ્યવસ્થા કરી, સંબંધિતોને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના છે’ સમસ્યાનો નિવેડો કેવળ કાગળ પર જ લાવી દેવાયો છે, હકીકતમાં એ થાંભલા અને વીજ લાઈન હજુ પણ યથાવત્ છે. ફરિયાદી હજુ પણ કલેક્ટર, ડીડીઓ, પંચાયત કાર્યપાલક ઇજનેર, નખત્રાણા નાયબ કલેક્ટર કચેરીઓમાં રૂબરૂ ધક્કા ખાઈ રહ્યો છે, બધેથી પોતાને હડધુત કરાતો હોવાનું અરજદાર જણાવે છે. ગુજરાતીમાં આવી શાસન પ્રણાલિ માટે કટાક્ષમાં ‘અંધેર નગરી ને ગંડુ રાજા’ કહેવત પ્રયોજાય છે!
Share it on
|