કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપરની મોડેલ સ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં એક બાળકને શાળાના પ્રવાસી શિક્ષકે લીમડાના લાકડાની સોટીથી માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. રાપર આઈટીઆઈમાં આવેલી મોડેલ સ્કુલમાં મીત આનંદભાઈ પરમાર નામનો બાળક અભ્યાસ કરે છે. આજે સવારે કેટલાંક છાત્રો શાળામાં અંદરોઅંદર વાતચીત કરતાં હતા. છાત્રોને વાતચીત કરતાં જોઈને ઉશ્કેરાયેલાં પ્રવાસી શિક્ષકે મીતને નિશાન બનાવી તેના બરડામાં સટાસટ બે સોટી ફટકારી દીધી હતી. સોટીના મારની પીડાથી મીત નીચે બેસી ગયો હતો. તેની પીઠમાં લોહીના ટશિયા ફૂટી આવ્યા હતા. પીડા સહન ના થતાં તેણે મામાને જાણ કરવા માટે શાળાના અન્ય શિક્ષકો પાસે જઈ તેમનો મોબાઈલ ફોન માગ્યો હતો. પરંતુ, શાળાના એકેય શિક્ષકે તેને મોબાઈલ ફોન નહોતો આપ્યો. આખરે શાળા છૂટ્યાં બાદ મીતે ઘેર જઈ મામા વિપુલ દરજીને વાત કરતાં તે તેને લઈ શાળાએ દોડી આવ્યાં હતા. જો કે, શાળાની મહિલા આચાર્યએ તેમની વાતને હળવાશથી લઈ એવો જવાબ આપ્યો હતો કે ‘’ભાઈ! છોકરાઓ તોફાન કરે તો શિક્ષક બે-ચાર સોટી મારે’ય ખરાં. એમાં શું દોડ્યા આવો છો? છોકરાને હોસ્પિટલે લઈ જવો પડે તેવો માર પડ્યો હોય તો જ કાંઈક ગંભીર કહેવાય’’ શાળાની મહિલા આચાર્યના ઉડાઉ જવાબ સાંભળીને મીતના મામાએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ ટેલિફોનિક જાણ કરી છે. મીતને સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર અપાઈ છે અને શિક્ષક વિરૂધ્ધ તેના મામાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. આ શિક્ષકે અગાઉ પણ મીતને અવારનવાર માર માર્યો હોવાનું તેના મામાએ કચ્છખબરને જણાવ્યું છે. આ અંગે અગાઉ પણ આચાર્ય સમક્ષ રજૂઆતો કરાઈ હતી પરંતુ મહિલા આચાર્યએ ક્યારેય આ બાબતને ગંભીરતાથી લીધી નથી. મીતને માર મારનાર શિક્ષકનું નામ વિરલભાઈ છે. તે પ્રવાસી શિક્ષક હોવાનું બહાર આવ્યું છે. માતાના છૂટાછેડા બાદ મીત નાનપણથી જ તેના મામા પાસે ઉછરી રહ્યો છે.
મામલો ગંભીર, કડક કાર્યવાહી કરાશેઃ જિલ્લા શિક્ષણાધિકારી
સમગ્ર ઘટના અંગે કચ્છખબર સાથે વાત કરતાં જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું કે, મેં પ્રાથમિક તપાસ કરાવી છે અને વિદ્યાર્થીને માર મરાયો છે તે વાત સાચી છે. અમે ઘટનાની સંપુર્ણ તપાસ કરી અહેવાલ આપવા આચાર્યને જણાવ્યું છે. આ કિસ્સામાં જરૂર જણાયે અમે કડક કાર્યવાહી કરશું.
RTE હેઠળ છાત્રોને શારીરિક શિક્ષા કરવી ગુનો છે
ભારતમાં રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં ભણતાં બાળકોને શારીરિક-માનસિક શિક્ષા કરવી ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં દોષી શિક્ષક સામે સેક્શન 17(1) અને 17(2) હેઠળ સજા થાય છે. દોષી શિક્ષક સામે સર્વિસ રૂલ્સ હેઠળ શિસ્તભંગની પણ કાર્યવાહી થઈ શકે છે. એ જ રીતે, જૂવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ પણ બાળકને શારીરિક માર મારવા બદલ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
Share it on
|