કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણા તાલુકાના ભડલી અને રાણારા ગામના સીમાડે આવેલી વાડીમાંથી રાજસ્થાની યુગલના મૃતદેહ મળી આવ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુગલ હજુ બારેક દિવસ અગાઉ આણંદસરના રતનશી ભગતની વાડીએ ખેતમજૂરી કરવા આવ્યું હતું. મરણ જનાર યુવકનું નામ સુનીલ રામેશ્વરલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૪) અને યુવતીનું નામ સુમન નાયક (ઉ.વ. ૩૨) છે. બેઉ રાજસ્થાનના હનુમાનગઢના વતની હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે બુધવારે સાંજે સાત વાગ્યા બાદ બેઉ ગૂમ થયેલાં જણાયેલાં અને આજે બપોરે બંનેના મૃતદેહ વાડીના કૂવામાં તરતાં જોવા મળ્યાં હતાં. ભુજ ફાયર બ્રિગેડના જવાનોએ વાડીએ દોડી જઈ યુગલના મૃતદેહ બહાર કાઢ્યાં હતાં.
બેઉ જણ ૧૯ મેના રોજ રતનશી ભગતની વાડીએ ખેતમજૂરીએ લાગ્યાં હતાં. બંનેની જ્ઞાતિ જુદી જુદી છે. સંભવતઃ બંને જણે પરિવારની મરજીથી વિરુધ્ધ નાસી જઈને પ્રેમલગ્ન કર્યાં હોય અને અહીં ખેતમજૂરી કરવા આવ્યાં હોવાની પ્રાથમિક અટકળો છે.
બંને જણે સજોડે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. પરંતુ, કારણ સ્પષ્ટ થયું નથી. નખત્રાણા પોલીસે એક્સિડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|