કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોરોના મહામારી અને લૉકડાઉને દેશના અર્થતંત્રને ભાંગી નાખ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વેપાર-ધંધાને શરૂ કરવા પેકેજ અને યોજનાઓ જાહેર કર્યાં છે. ત્યારે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના તળે વેપાર ધંધાને બેઠાં કરવા ભુજ મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેન્ક આગળ આવી છે. યોજના તળે નાનાં વેપારીઓને વાર્ષિક 8 ટકાના વ્યાજે 1 લાખ સુધીની લોન અપાશે. જેમાં છ ટકા રાજ્ય સરકાર વ્યાજ આપશે. જેથી અરજદારને લોનમાં નેટ વ્યાજ પેટે માત્ર બે ટકા વ્યાજ ભરવું પડશે. શરૂઆતના છ માસ મોરેટોરિયમ પિરિયડ આપવામાં આવશે. જેમાં હપ્તો ભરવાનો રહેશે નહીં, પરંતુ વ્યાજ ભરવાનું રહેશે. ત્યારબાદ 30 માસિક હપ્તામાં લોન અને વ્યાજની રકમ ભરવાની રહેશે. લોનની રકમ પાંચ હજારથી એક લાખ સુધીની રહેશે. અરજદારની ખરેખર જરૂરિયાતના આધારે બેન્ક લોનની રકમ નક્કી કરશે. વેપાર-ધંધાવાળા વેપારીઓ, મધ્યમવર્ગના લોકો, સ્વનિર્ભર કારીગરો, શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકશે. ફક્ત શહેરી સહકારી બેન્કો, જિલ્લા સહકારી બેન્કો અને શરાફી મંડળીઓ થકી જ આ યોજનાનો લાભ મળી શકશે. જૂન માસના પ્રથમ સપ્તાહથી લોન ચૂકવણી શરૂ થઈ જશે. બેન્કના ચેરમેન રશ્મિભાઈ પંડ્યાએ જણાવ્યું કે સહાય યોજનાનું ફોર્મ ખૂબ જ સરળ છે જેમાં ફક્ત એક જ પાનામાં અરજદારે વિગતો ભરવાની છે. આ તબક્કે બેન્કના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ બેન્કે હાથ ધરેલી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો આપી બીએમસીબી બેન્ક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટીને સાર્થક કરી રહી હોવાનું જણાવ્યું હતું. બેન્કના જનરલ મેનેજર સ્મિત મોરબીયાએ વહેલા તે પહેલાના ધોરણે લોકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. અત્યારસુધીમાં 700થી વધુ ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે.
Share it on
|