કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છ બેઠક પરની લોકસભા ચૂંટણી માટે આજે ભાજપ અને કોંગ્રેસ જેવા બે મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોએ વાજતેગાજતે ઉમેદવારી પત્રો ભર્યાં છે. ઉમેદવારી નોંધાવતાં અગાઉ બંને પક્ષના પ્રદેશ પ્રમુખોની હાજરીમાં ભુજમાં રોડ શો-રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સતત ત્રીજીવાર ચૂંટણી જંગ માટે ઉમેદવારી નોંધાવી છે.
ચાવડાની ઉમેદવારી પૂર્વે ભુજમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં રોડ શો યોજાયો હતો.
પ્રચાર સભામાં પાટીલે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ વ્યક્ત કરી દસ વર્ષના શાસનમાં મોદી સરકારે દેશની કાયાપલટ કરી નાખી હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, આરટીઓ સર્કલ વીબીસી વાડી ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું. ગોહિલે કેન્દ્રની મોદી સરકારના દસ વર્ષના શાસનની પોલ ખોલીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોહિલે માતાના મઢ ખાતે આશાપુરા માના દર્શન કરી રાજપૂત ક્ષત્રિય સમાજવાડીએ ક્ષત્રિય સમાજના સ્થાનિક આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વિનોદ ચાવડાએ દસ વર્ષ સુધી કચ્છની જનતાએ પ્રેમ અને સહકાર આપ્યા હોવાનું કહી વધુ પાંચ વર્ષ માટે સહકાર આપવા જનતાને અનુરોધ કર્યો હતો.
કોંગ્રેસના ઉમેદવાર નીતેષ લાલણે પાંચ લાખની લીડથી જીતવાના દાવા કરતો ભાજપ શા માટે ભરતી મેળા યોજે છે તેમ કહી મોદીના દસ વર્ષના શાસનમાં જનતા પોતાને ઠગાયેલી અનુભવતી હોવાનું કહી જનતા પરિવર્તનના મૂડમાં હોવાનું અને કચ્છથી ઉઠેલી વિજયની લહેર છેક દિલ્હી સુધી પહોંચીને દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે તેમ જણાવ્યું હતું.
Share it on
|