કચ્છખબરડૉટકોમ, અંજારઃ સાડા ત્રણ વર્ષ અગાઉ અંજારના વિજયનગરમાં બાઈક લઈને જતાં ૪૭ વર્ષિય હેડ કોન્સ્ટેબલના માથામાં પાછળથી કુહાડી ઝીંકી સ્થળ પર મૃત્યુ નીપજાવનારા હત્યારા યુવકને અંજાર સેશન્સ કૉર્ટે સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાનો બનાવ ૨૫-૧૧-૨૦૨૦ની સાંજે સાડા પાંચના અરસામાં અંજારની જૂની કૉર્ટ પાછળ વિજયનગરમાં અંબાજી મંદિર નજીક બન્યો હતો. મરણ જનાર વિજયકુમાર ખીમજી ચૌહાણ (રહે. રાઘવ રેસિડેન્સી, અંજાર) પશ્ચિમ કચ્છમાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે માતાના મઢ ખાતે વાયરલેસ ઓપરેટર તરીકે કામ કરતાં હતાં. હત્યારા સુનીલ નારણ મહેશ્વરી (૧૯) સાથે મૃતકને ઘટનાના એકાદ માસ અગાઉ નજીવી બાબતે બોલાચાલી થયેલી. એ જ રીતે, હત્યાના ચારેક દિવસ અગાઉ સવાશેર બગીચામાં સુનીલ થૂંકવા જતાં થૂંક ઉડીને વિજય ચૌહાણના શર્ટ પર પડતાં બેઉ વચ્ચે બોલાચાલી થયેલી. તે સમયે સુનીલે વિજય ચૌહાણને જોઈ લેવાની ધમકી આપેલી.
બનાવના દિવસે મૃતક મોટર સાયકલ પર વિજયનગરમાં ભાડે આપેલા મકાન તરફ જતા હતા ત્યારે સુનીલે પાછળથી ધસી જઈ કુહાડીથી ઘાતક હુમલો કરતાં સ્થળ પર જ વિજયનું મૃત્યુ નીપજ્યું હતું. સુનીલે માથા ઉપરાંત બંને સાથળમાં કુહાડીના ઘા માર્યાં હતા.
બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતા વિજયના નાના ભાઈ અશોક ચૌહાણે અંજાર પોલીસ મથકે ઈપીકો કલમ ૩૦૨ અને જીપી એક્ટ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ થઈ ત્યારથી સુનીલ જેલમાં છે. તેની વિરુધ્ધ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે કેસ ચાલ્યો છે.
આ કેસમાં સરકાર તરફે ૨૭ સાક્ષી અને ૪૩ દસ્તાવેજી પૂરાવા રજૂ થયેલાં. સાતમા અધિક સેશન્સ જજ બિન્દુ ગોપાલક્રિશ્ના અવસ્થીએ સુનીલને દોષી ઠેરવી આજીવન કેદની સજા સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસમાં મદદનીશ સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ ટ્રાયલ દરમિયાન ધારદાર દલીલો કરી તહોમત પૂરવાર કરીને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Share it on
|