કચ્છખબરડૉટકોમ, નલિયાઃ અબડાસાના ભવાનીપર ગામની જમીનના મૃત માલિકના નકલી પૌત્ર બનીને બે જણે કાવતરું ઘડીને નકલી દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મારી હોવાની ફરિયાદ નલિયા પોલીસ મથકે દાખલ થઈ છે. નવી મુંબઈ રહેતા પ્રપૌત્ર કેતન વસંતકુમાર ભાનુશાલી (રહે. મૂળ વતન બીટ્ટા)એ પરજાઉ ગામના લક્ષ્મીદાસ ઉકાભાઈ ભાનુશાળી અને બીટ્ટાના શામજી દયાત ભાનુશાળી વિરુધ્ધ ફોજદારી નોંધાવી છે. કેતને ફરિયાદમાં જણાવ્યું કે ૪૦ વર્ષ અગાઉ તેના વડદાદા વેલજી રામજીભાઈ ભાનુશાળીનું નિધન થયેલું. વેલજીભાઈને સંતાનમાં એક દીકરો નામે લક્ષ્મીદાસ અને બે દીકરી હતી. આ ત્રણે પણ વર્ષો અગાઉ ગુજરી ગયેલાં છે.
લક્ષ્મીદાસ ફરિયાદીના દાદા થાય છે. લક્ષ્મીદાસને સંતાનમાં પાંચ પુત્ર અને બે દીકરી હતાં. વડદાદા વેલજીભાઈ ભવાનીપરમાં નવા સર્વે નંબર ૩૮૭ની હેક્ટર આરે ૩-૧૧-૬૧ જમીનના માલિક હતા. તેમના નિધન બાદની પેઢીએ કોઈ વારસાઈ કે પેઢીનામું કરાવ્યું નહોતું.
થોડાંક સમય અગાઉ ફરિયાદીને તેના પિતા, ચાર કાકા અને બે ફોઈએ જમીનનું પાવરનામું લખી આપ્યું હતું. ફરિયાદીએ પાંચ મહિના અગાઉ નલિયા આવી મામલતદાર કચેરીમાંથી ભવાનીપરની જમીનના કાગળો કાઢવતાં બહાર આવ્યું હતું કે તેના દાદા લક્ષ્મીદાસ જેવું નામ ધારણ કરીને લક્ષ્મીદાસ ઉકાભાઈ ભાનુશાળીએ સને ૨૦૧૪માં વેલજીભાઈના પૌત્ર તરીકે બની જમીનની વારસાઈ કરાવી હતી. જેમાં બીટ્ટાના શામજી ભાનુશાળીએ સાક્ષી તરીકે ઓળખ આપી હતી. બાદમાં આ જમીન મોટી વમોટીના જેરામ દેવશી મહેશ્વરીના નામે ટ્રાન્સફર કરાઈ હતી. જેરામે ૨૦૧૪માં આ જમીનનો કેટલોક હિસ્સો શિવભદ્રસિંહ જીવુભા ગોહિલને વેચેલો. શેષ જમીન પાવરનામાથી શામજી ભાનુશાળીને આપી હતી. ૨૦૧૭માં શામજીએ આ જમીન તેની પત્ની લીલબાઈને વેચી હતી અને પાવરનામાના આધારે ૨૦૧૯માં તે જમીન રમેશ વશરામ ભાનુશાળીને વેચી હતી. રમેશે આ જમીનનો કેટલોક હિસ્સો ૨૦૨૧માં ફરી શામજીને વેચ્યો હતો.
નલિયા પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪, ૧૨૦ બી હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|