કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૨ જૂનના રોજ અમદાવાદમાં તૂટી પડેલાં એ ગોઝારા પ્લેનમાં સવાર ભુજ તાલુકાના દહીંસરા ગામના ૩૨ વર્ષિય યુવક અનિલ લાલજી ખીમાણીના નશ્વર દેહના અંતે આજે ૧૬મા દિવસે વતનની માટીમાં અંતિમ સંસ્કાર કરાયાં છે. પંદર પંદર દિવસ સુધી અનિલના મૃતદેહ સાથે સ્વજનોના ડીએનએનું મેચિંગ ના થતાં પરિવારનો વલોપાત વધી ગયો હતો. પુત્રના મૃતદેહની અંતિમ સંસ્કાર કરવાનું નસીબ ના થતાં શોક સંતપ્ત પરિવારે ગુરુવારે સ્મશાનમાં પ્રતીકાત્મક અંતિમવિધિ કરી હતી.
શુક્રવારે અષાઢી બીજના દિવસે અનિલના ડીએનએ મેચ થઈ જતાં આજે પરિવારને તેનો મૃતદેહ સુપ્રત કરી દેવાયો હતો. આજે સમી સાંજે શબવાહિનીમાં અનિલનો મૃતદેહ દહીંસરા લવાયો ત્યારે ગામ અને સમાજના લોકોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. સૌની હાજરીમાં તેની અંત્યેષ્ઠી કરવામાં આવી હતી.
મલ્ટિપલ રાઉન્ડ બાદ ડીએનએ થયા મેચ
અમદાવાદસ્થિત ડીએનએ તજજ્ઞે જણાવ્યું કે અનિલનો મૃતદેહ અત્યંત ખરાબ રીતે બળી ગયો હોઈ મૃતદેહમાંથી ડીએનએ મેળવવામાં ભારે જહેમત પડી હતી.
ડીએનએ મેચિંગના મલ્ટિપલ રાઉન્ડ બાદ આખરે ડીએનએ મેચ થયો હતો.
ડીએનએ મેચ ના થતાં પરિવારજનોમાં અંતરના ઊંડાણથી ક્યારેક આશાનું આછું કિરણ પણ ચમકતું હતું કે કદાચ તે જીવિત બચી ગયો તો નહીં હોય ને..
બે માસૂમ દીકરી સહિતના પરિવારને વિલાપ કરતો મૂકી ગયો
મૃતક અનિલ ત્રણ ભાઈઓમાં વચલો હતો. અગાઉ તે સેશલ્સમાં કામ કરી આવ્યો હતો. એક દૂરના સંબંધીએ તેને છ માસ માટે લંડન બોલાવતાં તે પહેલીવાર લંડન જતો હતો. એર ઈન્ડિયાની એ કમનસીબ ફ્લાઈટમાં ૨૧-G નંબરની સીટ પર તે બેઠો હતો. અનિલ ટાઈલ્સનો અચ્છો કારીગર હતો.
લંડનમાં જઈને સ્થાયી થવાના સપનાં આંજીને, માતા-પિતા, ભાઈઓ, પત્ની અને બે માસૂમ દીકરીઓને વતનમાં મૂકીને તે લંડન જવા નીકળ્યો ત્યારે સૌએ તેને ‘આવજો’ કહીને વિદાય આપેલી. કોઈને કલ્પના પણ નહોતી કે હવે અનિલ ક્યારેય જીવતો નહીં આવે.
Share it on
|