કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં અંજાર, આદિપુર અને ગાંધીધામ ડિવિઝનમાં બેફામ હદે ગુનાખોરી વકરી ગઈ છે. થોડાંક સમય અગાઉ અંજાર નજીક માલારા મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના બનાવનો કશો તાગ મળ્યો નથી. તે વચ્ચે હવે ગાંધીધામના કિડાણા ગામે આવેલા રામમંદિરમાં ચોરી થઈ છે. મંદિરના પૂજારી રાજેશ દાણીધારીયાએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. કિડાણાના લોહાણાવાસમાં આવેલા રામમંદિરના દ્વાર ગત રાત્રે નિત્યક્રમ મુજબ રાજેશભાઈએ રાત્રે 8 વાગ્યે બંધ કરી દીધા હતા. મધરાત સુધી મંદિરના પટાંગણમાં હાજર હતા અને ત્યારબાદ ઓરડીમાં જઈ સૂઈ ગયાં હતા. આજે પરોઢે પાંચ વાગ્યે ઉઠીને જોયું તો મંદિરનો મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં હતો. અંદર રહેલી રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા પર સોનાના એક-એક ગ્રામનો ઢોળ ચઢાવેલાં બે-બે હાર તેમજ હનુમાનજી, ઝુલેલાલ ભગવાનની પ્રતિમા પર રહેલાં એક-એક હાર ચોરાઈ ગયાં હતા. મંદિરમાં રહેલી અલગ અલગ છ ભગવાનની પિત્તળની મૂર્તિઓ ચોરાઈ ગઈ હતી. તો, પિત્તળની ત્રણ આરતી, ચાંદીના હાથાવાળો વીંઝણો, ભાલા, પિત્તળના બે દિવેટ, જ્યોત વગેરે પણ ચોરાઈ ગયાં હતા. તમામ ચીજવસ્તુની કિંમત 49 હજાર 200 રૂપિયા થતી હોવાનું તેમણે જણાવ્યું છે. ઘટના અંગે પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એસ.દેસાઈએ તપાસ હાથ ધરી છે.
Share it on
|