|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સ્ટેશન રોડ પર જ્યોતિષના કાર્યાલયમાંથી ભરબપોરે સાડા ત્રણ લાખ રોકડાં રૂપિયાની ચોરી થઈ જતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ચોરીનો બનાવ મંગળવારે બપોરે એકથી બે વાગ્યાના એક જ કલાકમાં બન્યો હતો. ૭૨ વર્ષિય અરવિંદભાઈ જોબનપુત્રા સ્ટેશન રોડ પર હોટેલ રાતરાણી પાસે બંદૂકીયા શેરીમાં ‘એસ્ટ્રોકેર’ નામથી જ્યોતિષ કાર્યાલય ચલાવે છે. અરવિંદભાઈ લોકોની રાશિ પરથી ભવિષ્ય ભાખવાનું, જન્મ કુંડળી, રુદ્રાક્ષની માળાઓ, કંઠી, નંગ બનાવી આપવાનું કામ કરે છે. મંગળવારે બપોરે એક વાગ્યે તેઓ ઑફિસના સેક્શન ડૉરને બંધ કરીને રુદ્રાક્ષની માળાના કામસર શરાફ બજાર ગયા હતા. એક કલાદ બાદ બપોરે બે વાગ્યે કાર્યાલય પર પરત ફર્યાં તો દરવાજો ખુલ્લો હતો. ટેબલના ખાના વેરવિખેર હતા અને અંદરની તિજોરીમાં રાખેલા સાડા ત્રણ લાખ રોકડાં રૂપિયા ચોરાઈ ગયાં હતા.
અરવિંદભાઈએ પોલીસને જણાવ્યું કે છેલ્લાં છ માસ દરમિયાન લોકો પાસેથી ફી પેટે વસૂલેલાં રોકડાં રૂપિયા તેઓ આ તિજોરીમાં રાખતા હતા.
ભુજ એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને પોલીસે પકડી લીધાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Share it on
|